દુર્ઘટના@દિયોદર: મધરાત્રે ટ્રેક્ટર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ગંભીર ઇજાઓને કારણે એકનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
દિયોદરની લુન્દ્રા કેનાલ પાસે મોડીરાત્રે અકસ્માતની ઘટનામાં એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. ગઇકાલે મોડીરાત્રે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોને મોટું નુકશાન પહોંચ્યુ છે. જેમાં ટ્રેક્ટરની ટ્રોલી અલગ થઇ ગઇ તો ટ્રક પણ ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે દિયોદર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે વૃધ્ધ ટ્રકચાલકનું મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના પુત્રએ ફરાર ટ્રેક્ટર ચાલક સામે દિયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદરની લુન્દ્રા કેનાલ પાસે મોડીરાત્રે ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભાભર તાલુકાના કમાલપુર ગામના સગરામજી વાહતાજી ઠાકોર (ઉ.વ.63) ટાટા ટ્રક લઇને આવી રહ્યા હોઇ તે સમયે બટાકા ભરીને આવતાં ટ્રેક્ટરે ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેને લઇ ટ્રક ઝાડમાં ઘુસી જતાં આગળનો ભાગ તુટી ગયો હોઇ સગરામભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે સગરામભાઇનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક સ્થળ પર વાહન મુકીને નાસી છુટ્યો હતો. મધરાત્રે સર્જાયેલા અકસ્માતને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રકચાલકનું પણ મોત થયાની વિગતો સામે આવી છે. ઘટનાને લઇ મૃતકના પુત્ર લીલાભાઇ સગરામજી ઠાકોરે ફરાર ટ્રેક્ટર ચાલક સામે દિયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ દિયોદર પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.