સ્પષ્ટતા@ભરૂચ: સરકાર સામે મને કોઇ નારાજગી નહીં: વસાવા, જાણો કેમ આપ્યું રાજીનામું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અચાનક પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં બાદ ગાયબ થઇ જતાં કાર્યકરો ચિંતિત બન્યા હતા. જે બાદમાં બપોરના સમયે અચાનક મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. અહીં એમણે જણાવ્યું હતું કે, મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે. મેં મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી. મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. જોકે સવારે રાજીનામું આપી મનસુખ વસાવા અચાનક ગાયબ થઇ જતાં તેમના સમર્થકો સહિત કાર્યકરો ચિંતિત બન્યા હતા.
સમગ્ર મામલે સી.આર.પાટીલે મીડિયાને સંબોધતાં કહ્યુ હતુ કે, મનસુખ વસાવા સીનિયર સાંસદ છે અને તેમની લાગણી ના દુભાય તેવા પ્રયત્ન કરીએ છીએ. નર્મદામાં ઇકો સેન્સેટીવ ઝોન જે ઘણા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યુ હતું, તેને લઇને વાત થઇ છે. કલેક્ટર દ્વારા જે એન્ટ્રી કરવામાં આવી છે, તેને લઇ કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમે તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ગેરસમજ દૂર થાય.