બ્રેકિંગ@ગુજરાત: આગામી 5 દિવસ કાળઝાળ અને અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના

 
Manorama Mohanti havaman

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આગામી 5 દિવસ કાળઝાળ અને અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આપવામાં આવેલા ઓરેન્જ એલર્ટ સાથે રાજ્યના કયા ભાગોમાં કેવી ગરમી રહેશે તે અંગે વકી કરી છે. ગરમીનું જોર મળતા બપોરના સમયે જોવા મળતા ટ્રાફિકમાં પણ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમી રહેવાની સાથે વરસાદની સંભાવના ના હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. આકરી ગરમી પડવાની શક્યતાઓ સાથે કેટલીક બાબતોની સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.

અમદાવાદના હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના નથી. મોટાભાગે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં ગરમીનો પારો હાલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેશે તેમ પણ ડૉ. મોહંતીએ જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત ડૉ. મોહંતીએ રાજ્યમાં પડનારી ગરમી અંગે આગાહી કરતા જણાવ્યું કે, તાપમાન વધી ગયું છે, હવે આગામ 5 દિવસ ડે ટેમ્પ્રેચરમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ગરમી વધવાનું કારણ ગુજરાતભરમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ થવાથી હવા વધારે સૂકી થઈ રહી છે, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં તાપમાન 42-44 ડિગ્રી રહેવાની સંભાવના છે.

રાજ્યમાં ગરમીનો પારો ઊંચો ચઢવાથી ડિસ્કમ્ફર્ટ ફિલ થશે. આ સાથે આજે સૌરાષ્ટ્ર-કચ્છના એકાદ જિલ્લામાં હિટવેવ કન્ડિશન રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદ-ગાંધીનગરમાં આજે તથા આવતીકાલે 44 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે. જ્યારે બે દિવસ પછી 42-43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. અમદાવાદ માટે ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે દિવસ યલો એલર્ટ રહેશે. રાજ્યભરમાં તાપમાનનો પારો વધી ગયો છે, પાંચ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. જેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ગરમી વધવાના કારણે માણસોની સાથે પશુ-પક્ષીઓ અને ઝાડ-ઝોડની કાળજી રાખવી પડશે. માણસોની સાથે પશુ-પક્ષી અને ઝાડ-પાન માટે પણ પાણીની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે. ઉનાળા દરમિયાન પાણી પુરતા પ્રમાણમાં પીવાની સાથે તડકામાં જતી વખતે સીધો તડકો ના પડે તેનું પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.