રિપોર્ટ@ગુજરાત: બિહારના ડેપ્યુટી CM તેજસ્વી સામે મેટ્રો કોર્ટમાં ફરીયાદ, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Tejashwi yadav

અટલ સમાચાર, ડેસ્ક

બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 1લી મેના રોજ થશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ અને ધુતારા જેવા અભદ્ર શબ્દો કહ્યા છે અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે.

તેજસ્વી યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવ એક જવાબદાર પદ પર છે અને તેમના માટે આવું નિવેદન કરવું અયોગ્ય છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

તેજસ્વી યાદવે એક નિવેદનમાં કહ્યું હતુ કે, ગુજરાતીઓ ગુંડા છે અને તપાસ એજન્સીઓએ તેમની સાથે કામ કરતી વખતે વધુ સાવચેતી રાખવી જોઈએ. જો કે તે સમયે મેહુલ ચોક્સી વિશે વાત કરવામાં આવી રહી હતી, પરંતુ તેજસ્વી યાદવે ગુજરાતીઓને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. જેના કારણે એક સમુદાયને લઈને સંબોધન હોવાનું અને અપમાનજનક હોવાનું કહેવામા આવી રહ્યું છે. બીજી તરફ તેમના આ નિવેદન પર પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વીએ તમામ ગુજરાતીઓ અને સમાજનું અપમાન કર્યું છે અને જાણી જોઈને આવું કર્યું છે. જેના કારણે ગુજરાતની જનતાને માનસિક પીડા થઈ છે.