કાર્યવાહી@ગુજરાત: AAP નેતા ઈસુદાન ગઢવી સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે કેસ ?

 
Isudan

અટલ સમાચાર, ડેસ્ક

આપના નેતા ઇસુદાન ગઢવીની મુશ્કેલીઓ વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના ખર્ચ અંગે ઈસુદાન ગઢવીએ વિવાદીત ટ્વીટ કર્યું હતું. જે અંગે PIBએ ખુલાસો કરી ઈસુદાનના ટ્વીટને ભ્રામક ગણાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલા અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પીઆઈબીના જણાવ્યા પ્રમાણે, ઇસુદાન ગઢવીએ નાગરિકોને મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે ગેરમાર્ગે દોર્યા છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ છે. બે દિવસ અગાઉ કરેલા આ ટ્વિટને ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું છે.

ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, મન કી બાતના એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે. જે ટ્વિટ પર પીઆઈબીએ ફાસ્ટ ચેક કરીને કહ્યુ કે, આ માહિતી લોકને મિસલીડ કરે છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, મન કી બાતની અત્યાર સુધી કુલ એડનો 8.3 કરોડની છે, એક એપિસોડના નહીં. આ ટ્વિટથી એવું સમજાય છે કે, તમામ એપિસોડ એડ પર સમર્થિત છે જે ખોટું છે.