આસ્થા@અંબાજી: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પુર્ણાહુતિ, લાખો લોકોએ કર્યા દર્શન

 
Ambaji

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી શક્તિપીઠથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વતની તળેટીમાં 12 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા મહોત્સવ નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પણ સહયોગ આપવામાં આવ્યો હતો આજે અંતિમ દિવસે ગબ્બર પરિક્રમા મહોત્સવની પુર્ણાહુતિ ઉત્સાહભેર કરવામાં આવી હતી.

અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર મા અંબા નું મૂળ સ્થાન ગબ્બર પર્વત આવેલું છે. પણ ચાલતા જવાના 999 પગથિયા છે અને ઉતરવાના 765 પગથિયાં છે અને આ સિવાય અહીં ગબ્બર રોપવે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા પર્વતની તળેટીમાં અઢી કિલોમીટર લાંબા પાથ પર 2000 પગથિયા સહિત 50 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવેલું છે જે શક્તિપીઠો દેશના અને વિદેશના શક્તિપીઠો માં આવેલા વિવિધ શક્તિપીઠો પૈકીના અહીં બનાવવામાં આવેલા છે. 

સામાન્ય નાગરિક થી લઈને પૈસાદાર વ્યક્તિ પણ ત્રણથી ચાર કલાકની અંદર સમગ્ર શક્તિપીઠોની પરિક્રમા કરી અને માતાજીના દર્શન કરી શકે છે તેવું આયોજન અહીં 2014 થી શરૂ કરેલ છે પરંતુ 2022 થી અહીં ગબ્બર પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આ વખતે 2023માં પણ ગબ્બર પરિક્રમા મહોત્સવ સાત દિવસનો કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ નેતાઓ વીઆઈપી લોકો ગબ્બર પરિક્રમામાં હાજરી આપવા આવ્યા હતા. આજે સાંજે ગબ્બર પર્વતની તળેટીમાં અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા દ્વારા આરતી કરાયા બાદ પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયો હતો.

આ તરફ અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, પરિક્રમા મહોત્સવમાં સુંદર પ્રતિસાદ સાંભળ્યો છે. જેને લઈને આવતા વર્ષે આના કરતાં પણ વધુ સુંદર આયોજન કરવામાં આવશે અને 2023 પરિક્રમા મહોત્સવના 6દિવસમાં 3.5 લાખ ભકતો પરિક્રમામાં જોડાયા હતા. વિવિઘ શાળાના બાળકો પણ પરિક્રમા કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરીક્રમાં મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ ભક્તો ગબ્બર પર્વતની પરિક્રમા પણ કરી શકશે.