ખળભળાટ@લૂંટ: મનરેગામાં સૌપ્રથમવાર ઠેકેદારો સામે ફરિયાદ દાખલ, 20થી વધુ આરોપી ખુલી શકે, સ્પેશ્યલ ખુલાસો

 
Dahod mgnrega
ખુદ સરકારે કૌભાંડ થયાનું જાહેર કરી મનરેગા થકી લૂંટની મોડસ ઓપરેન્ડી પણ સામે લાવી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દાહોદ જિલ્લામાં મનરેગાના ઓથા હેઠળ એજન્સી, કરારી અને એજન્ટો સહિતનાઓ ભેગા મળીને કરોડોની લૂંટ ચલાવતા હોવાના અહેવાલો અટલ સમાચારે કર્યા છે. આ સાથે સ્થાનિક જાગૃત નાગરિકો પણ વારંવાર ડીડીઓ અને ગાંધીનગર ફરિયાદ કરતાં રહ્યાં અને ઓછામાં પૂરું વિધાનસભામાં પણ મામલો ગુંજ્યો હતો. આ તમામ ગતિવિધિઓ વચ્ચે કોઈને પણ જાણ નહોતી કે, કાલે શું થવાનું છે પરંતુ ડીડીઓ અને નિયામક સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા હતા તેનો ઘટસ્ફોટ ગુનો દાખલ થયા પછી સામે આવ્યો છે. ખુદ નિયામક પટેલે દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાના ત્રણેક ગામોમાં કૌભાંડનો આખો ચિઠ્ઠો ખોલી દાહોદ બી ડીવીઝન પોલીસ સ્ટેશને ગંભીર પ્રકારની કલમો હેઠળ ગુનો નોંધાવી દીધો છે. જેમાં આરોપીઓ નામજોગ નથી પરંતુ ઠેકેદારો, કરારીઓ અને કર્મચારીઓ/અધિકારીઓ શબ્દ હોવાથી પોલીસ તપાસમાં મોટા માથાઓ ખુલી શકે છે. જેવીરીતે ફરિયાદ છે તે જોતાં સરેરાશ 20થી વધુ વ્યક્તિઓની પૂછપરછ શક્ય બને તો આરોપીઓ તબક્કાવાર વધતાં જાય તો નવાઇ નહિ. વાંચો દાહોદ મનરેગાનો અત્યાર સુધીનો સૌપ્રથમ અહેવાલ કે, જે ભૂતકાળમાં બન્યો નથી.

Dahod mgnrega lunt

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કુવા અને રેઢાણા ગામમાં તેમજ ધાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં મનરેગા યોજના હેઠળ કરોડોના કામો પાછલાં વર્ષોમાં થયા હતા. જેમાં અતિશય પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની અનેક ઠેકાણેથી બૂમરાણ વધતાં અંદર ખાને તપાસ શરૂ કરી ફરિયાદ કરવાનું નક્કી થયું હતુ. જિલ્લા પંચાયતના પત્ર આધારે ખુદ ડીઆરડીએ નિયામક પટેલે આધારભૂત કાગળો લઈ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને સરકાર સાથે વિશ્વાસઘાત અને નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં પોલીસે બીએનએસની કલમ 316(2), 316(5), 318(4), 336(2), 338, 340(2), 3(5) અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ગુનાનો સમયગાળો જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2024 સુધીનો છે ત્યારે આ ત્રણેય ગામોમાં છેલ્લા 4 વર્ષમાં કરોડોની સરકારી ગ્રાન્ટ લૂંટી લીધી હોવાનો ઘટસ્ફોટ થાય છે. નીચેના ફકરામાં વાંચો લૂંટના સોદાગરોની મોડસ ઓપરેન્ડી.

FIR

અધૂરાં કામો, નકલી દસ્તાવેજો થકી સરકારની ગ્રાન્ટ આંચકી લેવાની મોડસ ઓપરેન્ડી એકબીજાની મિલીભગતથી ચાલતી હતી. મનરેગા હેઠળ રસ્તાઓ, ચેકડેમ, સીસી રોડ અને અન્ય વિકાસલક્ષી કામો થાય છે ત્યારે તપાસમાં સામે આવ્યું કે, અધૂરાં કામો છતાં કામો પૂર્ણ થયાના ખોટા પ્રમાણપત્રો ઉભા કરી સરકારની ઓનલાઇન સિસ્ટમને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર રીતે ગ્રાન્ટ મેળવી લેવાનો કારસો રચ્યો હતો. સૌથી મોટો ખુલાસો એ થયો કે, તાલુકા પંચાયતવાળા આડેધડ ટેન્ડર સિવાયની એજન્સીઓને કામો આપી બોગસ મટીરીયલના બીલો મૂકતાં હતા. મનરેગા હેઠળ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ના લેનારી અથવા L1 ના હોવા છતાં બિનઅધિકૃત એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત વગર આ લૂંટ શક્ય બને નહિ તેથી નિયામકે લખાવેલ ફરિયાદમાં ઠેકેદાર એજન્સીઓ સાથે કર્મચારી/અધિકારી શબ્દનુ નામ આપી પોલીસને શોધવા તપાસવા ફરિયાદથી જણાવ્યું છે.