ગંભીર@ગાંધીનગર: જીએલપીસીના એક કર્મચારી ખોવાઇ ગયા❓બનાસકાંઠાએ સુપ્રત કર્યા પણ મળતાં જ નથી
Tue, 12 Jul 2022

બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ચોક્કસ કારણોસર આ કર્મચારીને ગાંધીનગર સ્થિત જીએલપીસીને સોંપી દીધા, પણ નથી કર્મચારી મળતાં કે નથી પત્ર મળતો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સરકારની એક કંપનીમાં કાગળ ઉપર એક કર્મચારી ખોવાઇ ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ચોક્કસ કારણોસર આ કર્મચારીને ગાંધીનગર સ્થિત જીએલપીસી ખાતે સુપ્રત કરી દીધા હતા. આ પછી કર્મચારી ગાંધીનગર પહોંચ્યા નથી અને ઉપરથી સુપ્રત કર્યાનો પત્ર ગુમસુદા છે. આવી સ્થિતિમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ગયેલા કર્મચારી કાગળ ઉપર અને ફિઝીકલી પણ હાજર મળ્યા નથી. હવે આ કર્મચારી કેમ ખોવાઇ ગયા તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

ગાંધીનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની નામની ઓફીસ આવેલી છે. આ કચેરી સ્વસહાય જૂથોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે મદદરૂપ થઈ રહી છે. આ કંપનીના એક કર્મચારી ચિરાગ પંચાલ અગાઉ પંચમહાલ જિલ્લામાં ફરજ બાબતે વિવાદોમાં આવ્યા હતા. આથી જીએલપીસીએ ચિરાગ પંચાલને પંચમહાલ જિલ્લામાંથી છૂટા કરી બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મૂક્યા હતા. જોકે બનાસકાંઠા ખાતે આ કર્મચારીની સતત ગેરહાજરી સહિતના કેટલાક કારણોસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મોટો નિર્ણય કર્યો હતો. બનાસકાંઠા ડીઆરડીએ દ્વારા આ કર્મચારીને ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરીને સુપ્રત કરી દીધા હતા. હવે ગુમસુદાની પરિસ્થિતિ અહિંથી શરૂ થાય છે. આ કર્મચારીને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ છૂટા કરી ગાંધીનગરને સુપ્રત કર્યાનો પત્ર જ ગુમસુદા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચિરાગ પંચાલને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગાંધીનગર સ્થિત જીએલપીસીને સોંપી દીધા હતા. જોકે ચિરાગ પંચાલ ગાંધીનગર પહોંચ્યાં નહિ. આટલું તો આટલું બનાસકાંઠા ડીઆરડીએ દ્વારા છૂટા કરી ગાંધીનગરને સુપ્રત કર્યાનો પત્ર પણ શોધ્યો જડતો નથી. આવી સ્થિતિમાં આ કર્મચારી ક્યાં ખોવાઇ ગયા તે સૌથી મોટો સવાલ બન્યો છે. આ બાબતે જીએલપીસીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, હા પત્ર મળતો નથી પરંતુ મારી શાખા નથી એટલે હું કંઈ ઓફિશિયલ કહી ના શકું. આ પછી એચઆર શાખાના ઓમદવસિંહ ચુડાસમાનો સંપર્ક કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. આ પછી રાજેન્દ્ર ગોહિલને પૂછતાં જણાવ્યું હતું કે, હું રજા ઉપર છું અને બધું કંઈ મોઢે યાદ ના હોય.