કલોલઃ પત્નીના પ્રેમ પ્રકરણથી કંટાળી પતિએ જીવન ટુંકાવ્યું, દિયરે અંતે ભાભી સામે ફરિયાદ નોંધાવી

દિયરે મોબાઇલ ચેક કરતાં જ ભાભી ને અન્ય યુવક સાથે અવૈધ સંબંધો હોવાના રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેથી કરીને દિયરે ભાભી અને તેના પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાવ્યો છે.
 
અત્મહત્યા

અટલ સમાચાર, ડેસ્ક

કલોલ તાલુકાના છત્રાલનાં સુરભિ એપાર્ટમેન્ટમાં તા. 21 જુનના રોજ પરિણીત યુવાને કોઈ કારણસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જો કે પતિના મૃત્યુના ત્રીજા દિવસે જ પિયર જતી રહેલી પત્ની દિયરને વારંવાર ફોન કરીને પતિનો મોબાઇલ આપવા કહી રહી હતી. જેનાં પગલે દિયરે મોબાઇલ ચેક કરતાં જ ભાભી ને અન્ય યુવક સાથે અવૈધ સંબંધો હોવાના રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેથી કરીને દિયરે ભાભી અને તેના પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાવ્યો છે.
 
કલોલનાં છત્રાલનાં સુરભિ એપાર્ટમેન્ટમાં 21મી જુનના રોજ પરિણીત યુવકના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવતાં કલોલ તાલુકા પોલીસ મથકમાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં અજય બાબુભાઈ શ્રીમાળીએ અમદાવાદના બાપુનગરમાં રહેતા વિક્રમ નાયકની દિકરી કૃપાલી સાથે ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી કૃપાલી પતિ સાથે સુરભિ એપાર્ટમેન્ટમાં રહેવા આવી હતી.

 
લગ્નના થોડા વખત પછી અચાનક કૃપાલીની વર્તણૂંકમાં બદલાવ આવવા લાગ્યો હતો. જે અજયને અંદરને અંદર કોરી ખાતો હતો. એવામાં અજયને ખબર પડી ગઈ હતી કે તેની પત્નીને મહેસાણાના કડી તાલુકાના નંદાસણનાં નવદીપ શાહ સાથે અવૈધ સંબંધો છે. કૃપાલી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં તેના અવૈધ સંબંધો હોવાની વાત જાણીને અજય અંદરથી તૂટી ગયો હતો. તેણે કૃપાલીને નવદીપ સાથેના પ્રેમ સંબંધોનો અંત લાવવા ઘણી આજીજી કરી હતી.​​​​​​​
 
​​​​​​​પરંતુ કૃપાલી નવદીપ સાથે પ્રણયનાં ફાગ ખેલેજ રાખતી હતી. આખરે એક દિવસ અજયે પત્નીના પ્રેમી નવદીપને ફોન કરીને રડતાં રડતાં આજીજી કરીને કહ્યું હતું કે હું મરવાની અણી પર આવી ગયો છું. કાંતો તું કૃપાલીને લઈ જા. અથવા મારી પત્નીને છોડી દે. આજ વાત અજય તેની પત્નીને પણ કહેતો રહેતો હતો. છતાં કૃપાલીએ નવદીપ સાથેનાં અવૈધ સંબંધો ચાલુ જ રાખ્યા હતા.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આમ ઈજ્જત જવાની બીકે અજય પરિવારમાં પણ કોઈને વાત કરી શકતો ન હતો. પરંતુ પત્ની દિવસે ને દિવસે બેફામ બનતી જતાં આખરે હારી થાકીને તા. 20મી જુનના રોજ અજય તેના અંગત મિત્ર વૈભવને રાત્રે ફોન કરીને કહે છે કે, હું ખૂબ ટોર્ચર થઈ રહ્યો છું. લાય ને દવા પી લઉં કે કેનાલમાં પડું અથવા ગળાફાંસો ખાઈ લઉં. રીઝન એવું છે લ્યા કહીશ તો ઘરની આબરૂ જશે. ખૂબ જ કંટાળી ગયો છું. મારા બૈરાનો જ પ્રોબ્લેમ છે. આથી મિત્ર વૈભવ પણ અજયને કોઈ ખોટું પગલું નહીં ભરવા સમજાવે છે.

 
બાદમાં બીજા દિવસે અજય ઘરમાં એકલો હોય છે. અને તેની પત્ની કૃપાલી મહેસાણા શંકુ વોટર પાર્કમાં નોકરીએ જતી રહે છે. ત્યારે કૃપાલી સાથે મોબાઇલ પર વિડિઓ કોલથી વાત પણ કરે છે અને અંતે પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લટકી જાય છે. બપોરના સમયે બે નાના ભાણિયાઓ સ્કૂલેથી આવે છે ત્યારે અજયને લટકતો જોઈ મામા મામા ઉઠો ઉઠો કરીને રડવા લાગે છે. ઘણીવાર સુધી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા બંને ભાણિયા રડતાં રડતાં દોડીને પાડોશીઓ પાસે પહોંચી જાય છે.​​​​​​​
 
આથી નોકરી પર ગયેલા અક્ષયને તેના મિત્ર પારસે ફોન કરીને કહ્યું હતું કે તાત્કાલિક ઘરે પહોંચી જા. તારા ઘરે કઈ થયું છે. આમ પરિવારજનોને અજયનાં આપઘાતની જાણ થઈ હતી. તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ અજયની લૌકિક ક્રિયાઓ પૂર્ણ થતાં કૃપાલી ત્રીજા દિવસે જ પિયર રહેવા જતી રહી હતી. પરિવાર હજી તો અજયનાં આપઘાતનું કારણ જાણવા ગડમથલમાં હતો. એવામાં કૃપાલી વારંવાર દિયર અક્ષયને ફોન કરીને અજયનો ફોન માંગતી રહેતી હતી. પણ ઘરે મરણ પ્રસંગ હોઈ ભાભી કૃપાલીનાં મલિન ઈરાદાનો અક્ષયને ખ્યાલ ન હતો.

દિયરે રેકોર્ડિંગ ચાલુ કરતાં જ ભાભી કૃપાલીનાં અવૈધ સંબંધોનો ભાંડો ફૂટયો
આજથી પાંચેક દિવસ અગાઉ પરિવારના સભ્યો બેઠા હતા. એટલે ભાભી વારંવાર ભાઈના ફોનની માંગણી કરી રહી હોવાની વાત યાદ આવતા જ અક્ષયે બંધ ફોન ચાલુ કર્યો હતો. અને ફોનની ગેલેરીમાં પડેલા રેકોર્ડિંગ ચાલુ કરતાં જ કૃપાલીનાં અવૈધ સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં અજયને કૃપાલી અને તેના પ્રેમી નવદીપે આપઘાત કરવા મજબૂર કર્યો હોવાના રેકોર્ડિંગ સાંભળીને અક્ષયે કલોલ તાલુકા પોલીસને રેકોર્ડિંગ સોંપ્યા હતા. જેનાં આધારે પીએસઆઇ ડી એમ ગઢવીએ કૃપાલી અને તેના પ્રેમી નવદીપ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી કૃપાલીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.