ચિંતા@સુઇગામ: નર્મદામાં જમીન આપી, વળતર સામે ધરમધક્કા ખાઇ રજૂઆત કરી
અટલ સમાચાર, સુઇગામ
કોરોના મહામારી વચ્ચે સુઇગામ પંથકના ખેડૂતોએ કેનાલમાં જમીન બાબતેના વળતરને લઇ મામલતદારના માધ્યમથી નર્મદાના ડીરેક્ટરને પત્ર લખ્યો છે. અગાઉ કચ્છ બ્રાન્ચમાંથી ધ્રેચાણા માઇનોર કેનાલ માટે ગામના ખેડૂતોની જમીન કપાતમાં ગઇ હતી. જેની સારે ખેડૂતોને શરૂઆતમાં નજીવી રકમનું વળતર ચુકવાયુ હતુ. જે બાદમાં મહામુલી જમીનનું વળતર વારંવારની રજૂઆતોને અંતે નહિ ચુકવાતાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ગરાંબડી ગામના ખેડૂતોની નર્મદા કેનાલની કપાતમાં ગયેલી જમીન બાબતે વળતરને લઇ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં કચ્છ બ્રાન્ચમાંથી ધ્રેચાણા માઇનોર કેનાલમાં ગરબડી ગામના ખેડૂતોની જમીન કપાતમાં ગયેલ છે. જે અંગે ખેડૂતોને શરૂઆતમાં નજીવી રકમનું વળતર ચુકવવામાં આવતાં કેનાલનું કામ જાહેર હિતનું હોઈ ખેડૂતોએ અધુરૂ વળતર લઇ કેનાલ બનાવવા માટે જમીન સોપી દીધેલ હતી. જોકે કેનાલ કપાતમાં ગયેલ ખેડૂતોની મોંઘી ઉપજાઉં જમીનનું પુરતું વળતર નહીં મળતાં રાધનપુર નર્મદા નિગમની કચેરીએ ધરમધક્કા ખાઇ અનેક વાર રજૂઆતો કરી હતી.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર કચેરીના જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખેડૂતોને જમીનના વળતર બાબતે કોઈ સચોટ માહિતી આપતા ન હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. આ અંગે જરૂરી તપાસ કરી ગરાંબડી ગામના ખેડૂતોને કેનાલમાં કપાતમાં ગયેલ જમીનનું અત્યારના ભાવ પ્રમાણે વ્યાજબી વળતર ચુકવવા રજૂઆત કરવામાં આવી છે.