ગાંધીનગરઃ નર્મદા કેનાલમાં 4 યુવકો ડુબવાનો મામલો, NDRFને ત્રીજા દિવસે 3 મુતદેહોની ભાળ મળી

અટલ સમાચાર, ડેસ્ક
ત્રણ દિવસ પહેલા એટલે કે, ગત બુધવારે રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવકો ડૂબી જતાં ખળભળાટ મચી ગયો હતો. ગઈ કાલે ચારેય યુવકોની શોધખોળ દરમિયાન એક વૃદ્ધની લાશ મળી આવી હતી. ત્યારે આજે ફરીથી NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સફળતા મળી છે. NDRFને ત્રીજા દિવસે 3 મુતદેહોની ભાળ મળી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસેના જાસપુર પાસે 3 મૃતદેહ મળ્યા છે. સાયફન પાસે બોડી ફસાઈ હોવાથી કેનાલના દરવાજા બંધ કરાવાશે. થોડીવાર બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવશે. અમદાવાદના આ યુવકો બર્થ ડેની ઉજવણી કરવા માટે રાયપુર પાસે નર્મદા કેનાલે પહોંચ્યાં હતા.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
અહીં ફોટોગ્રાફી સમયે છમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બે દિવસ સુધી કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આ દુર્ઘટનાની વધુ વાત કરીએ તો કેનાલ પાસે આ યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. આ પછી એકેય બહાર આવ્યા નહોતો. ગઈ કાલે ગાંધીનગરના કરાઈ પાસેની કેનાલમાંથી 60 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો હતો. હિરેનભાઈ શાહ નામની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બુધવારે ડૂબેલા 4 યુવાનોની શોધખોળ દરમિયાન NDRFને મૃતદેહ મળી આવ્યો હતો.
1 નિકુંજ અનિલભાઈ સગર
2 જયદીપ હરફૂલભાઈ સબલાનીયા
3 સાહિલ અરવિંદભાઈ પટેલ
4 સ્મિત રાકેશભાઈ પટેલ