ગાંધીનગર: સાસરિયાના ત્રાસથી પરિણિતાએ કેનાલમાં ઝંપલાવ્યુ, બાળકો નોંધારા
અટલ સમાચાર, ગાંધીનગર
ગાંધીનગરમાં સાસરિયાઓની દહેજની માગણી નહીં સંતોષી શકનાર મહિલાને આખરે આપઘાત કરવાનો વારો આવ્યો હતો. મહિલાએ ગાંધીનગરના ખોરજ પાસેની નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી બે વર્ષના પુત્રે માતાની છત્રછાયા ગુમાવી છે, તો પિતાએ એકની એક લાડકવાયી દીકરી ગુમાવી છે. પાંચ લાખના દહેજ મામલે પરિણીતાએ આપઘાત કર્યો હતો. આ મામલે મહિલાના પિતાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
આપઘાત કરનાર નીકિતાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે લગ્નનાં 6 માસમાં જ સાસરિયાઓ તરફથી નીકિતાને નાની વાતોમાં શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. નીકિતાએ આ મામલે પિતાને જાણ કરી હતી. પણ દીકરીનું ઘર ન ભાંગે તે માટે પિતા તેને સમજાવીને પરત સાસરીએ મોકલતાં હતા. પણ દિયરને કેનેડા જવાનું હોવાથી સાસરિયાઓએ મહિલા પાસેથી પાંચ લાખની માગ કરી હતી. જે માગ નહીં સંતોષતા સાસરિયાઓએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ મહિલાએ ગત તારીખ 4ના રોજ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું.
નીકિતાએ આપઘાત પહેલાં પોતાની માતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, મા આ મારો છેલ્લો ફોન છે. આજ દિન પછી ફોન નહીં કરું. દીકરા શ્લોકને સાચવજો. ત્યારબાદ નીકિતાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ મામલે પિતાએ દીકરીના સસરાને ફોન કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે, નીકિતા ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી છે, અને હવે પરત આવશે તો પણ અમે સ્વીકારીશું નહીં. જો કે નીકિતા નહીં પણ તેની લાશ ઘરે પરત આવી હતી.