બનાવ@ગાંધીનગરઃ પિતા-પુત્રએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી, કારણ અકબંધ
અટલ સમાચાર, ડેસ્ક
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતાં પિતા-પુત્રએ કોઈ અગમ્ય કારણસર ઘરેથી નીકળી જઈ રાયપુર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આજે સોમવારે સવારે બન્નેના મૃતદેહો મળી આવતા ડભોડા પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે કવાયત હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગાંધીનગરનાં દહેગામ તાલુકાના બારીયા ગામે રહેતા 65 વર્ષીય લક્ષ્મણજી અમરાજી ઠાકોરને ત્રણ સંતાનો છે. જેમનો 35 વર્ષીય પુત્ર મૂકેશ પરણિત છે. ગઈકાલે લક્ષ્મણજી તેમના પુત્ર સાથે કોઈ કારણોસર ઘરેથી નીકળી ગયા હતા અને રાયપુર નર્મદા કેનાલમાં બન્નેએ સાથે મળી ઝંપલાવી દીધું હતું. બનાવ અંગે પરિવારને જાણ થતાં પરિવારે ડભોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસનો સ્ટાફ કેનાલ પર દોડી ગયો હતો અને બન્નેની શોધખોળ હાથ ધરી હતી, જોકે, ગઈકાલે પિતા-પુત્રનો પત્તો લાગ્યો ન હતો. જેથી આજે સોમવારે ફરી બન્નેની શોધખોળ શરૂ કરાતા લક્ષ્મણજી અને મૂકેશની લાશ સાયફન પાસેથી મળી આવી હતી.
સુત્રોએ જણાવ્યું હતુ કે, ગામમાં વહેતી થયેલી વાતો મુજબ મૂકેશની માનસિક સ્થિતિ સારી ન હતી અને લક્ષ્મણજી પણ માનસિક રીતે હેરાન થઈ રહ્યા હતા. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પિતા પુત્રના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોની જરૂરી પૂછતાછ કરવાની કવાયત શરૂ કરી હતી.