રજૂઆત@થરાદ: SRP જવાનોની 3 મહિનાની બદલી અટકાવી રાહત આપો: MLA
અટલ સમાચાર, થરાદ
કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે થરાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લોકડાઉનમાં S.R.P જવાનોની 3 મહિનાની બદલી અટકાવી રાહત આપવા ભલામણ કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યુ છે કે, S.R.P જવાનોની દર 3 મહિને બદલી થતી હોવાથી તેઓ પરીવારથી દૂર અને તણાવભર્યુ જીવન જીવતા હોય છે. જો તેમને પોતાના જીલ્લામાં સ્થાયી કરવામાં આવે તેઓ પોતાના પરીવાર સાથે શાંતીથી રહી શકે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત પોલીસમાં S.R.P જવાનો રાત દિવસ પરિવારથી દૂર રહીને 3 મહિના ભટકતી જીંદગી જીવે છે. આ સાથે દર 3 મહિને બદલીઓથી કંટાળી પણ જતાં હોય છે. જેથી આત્મહત્યા, ખોટા વ્યસન તરફ ધકેલાતા હોય છે.
ધારાસભ્યએ ઉમેર્યુ હતુ કે, 3 મહિને બદલીઓ થાય છે તેમાં કચ્છ વાળા વલસાડ તો વલસાડવાળા કચ્છમાં જાય છે. જેથી લાખો રૂપિયાનો ડીઝલ અને બીજા અનેક ખર્ચાઓ થાય છે. જો S.R.Pને જીલ્લા વાઇઝ સ્થાયી કરવામાં આવે તો લાખો રૂપિયા બચાવી શકાય તેમજ જવાનો પણ પોતાના જીલ્લામાં પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન જીવી શકે. આ બાબતે સમિતિઓ રચવામાં આવી હતી પણ હજુ સુધી કોઇ નિકાલ આવ્યો નથી. જેથી સમગ્ર મામલે યોગ્ય નિકાલ લાવવા ભલામણ કરી છે.