ચોંક્યાં@ગુજરાત: કોંગ્રેસના ભરતસિંહે જાહેર નોટીસ પાઠવી, પત્નિ મારા કહ્યાંમાં ન હોઇ લેવડ-દેવડ ના કરવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે પોતાની પત્નિને જાહેર નોટીસ પાઠવી હોવાની વિગતો સામે આવતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, તેમના પત્ની રેશ્મા પટેલ છેલ્લા ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યુ છે કે, કોઇ પણ વ્યક્તિએ પત્ની સાથે તેમનાં નામનો ઉપયોગ કરી કોઇ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ તે માટે જવાબદાર રહેશે નહીં.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતા. મારા ઘરે આવીને રહે તો પણ કોઇ વાતચીત કરતાં નહતા. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ થયું નથી. તે પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માંગે છે, મને કોઇ તકલીફ પહોચે તેવું તેઓ કરવાના હોય તેવો ભય છે.
આ સાથે ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, મે છૂટાછેડા લેવા પણ કહ્યુ હતું, પરંતુ તે અંગે તેમણે સંમતિ આપી નહતી. મે તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે, પરંતુ તેમના પર કોઇ હકારાત્મક અસર થઇ નહતી. અમારા સબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઇ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછુ નુકસાનકર્તા હોય તેવું પગલુ ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો તેથી મેં નોટિસ મોકલી છે.