અપડેટ@વડોદરા: હરણી તળાવ દુર્ઘટના કેસમાં સુઓમોટો પિટિશન દાખલ કરવાની રજૂઆત હાઇકોર્ટે સ્વીકારી

 
Vadodara Harani

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા બોટ દુર્ઘટના મામલાનું હાઇકોર્ટ સ્વયં સંજ્ઞાન લેશે. સુઓમોટો પિટિશન દાખલ કરવાની હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત કોર્ટે સ્વીકારી લીધી છે. તમને જણાવી દઈએ કે, વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરવામા આવી હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતુ કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ.

વડોદરામાં બાળકોના મોતની દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ શરુ થતા કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર થઈ ગયા છે. દુર્ઘટના બાદ પરેશ શાહ ઘટના સ્થળે પહોચ્યા હતા. દુર્ધટના થયા પછી તેઓ ફરાર થઇ ગયા છે. કોઇના કહેવાથી તેઓ ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા તેવા સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે. પરેશ શાહના ભાજપના મોટા માથાઓ સાથે સંબંધ હોવાની પણ ચર્ચા છે. ભાજપના નેતાઓએ જ તેમને ભાગાડ્યા હોવાની સ્થાનિક લેવલે ચર્ચા ઉઠી રહી છે.

વડોદરાની હરણી તળાવ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહને પોતાના ભાઈને લઈને કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનો ખુલાસો થયો છે. મહાપાલિકાના કોર્પોરેશનના ટીપી ઓફિસર તરીકે ગોપાલ શાહ કાર્યરત છે, તે પરેશ શાહના સગાભાઈ છે. જોકે અમુક ગેરરિતીના કારણ તેમને સસ્પેન્ડ કરાયા હતા. આમ પોતે કોન્ટ્રાક્ટ ન લઈ શકતા પોતાના ભાઈ પરેશ શાહના નામે કોન્ટ્રાકટ લેવાયો હતો. બાદમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે કોટિયા કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આમ મૂળ માલિકી તરીકે ગોપાલ શાહ અને પરેશ શાહ કાર્યરત રહ્યા હતા.

તંત્રની બેદરકારી અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસા પણ થવા લાગ્યા છે. મોરબીની દુર્ઘટના તો તમને યાદ જ હશે. જે રીતે બ્રિજ રિનોવેશનની કામગીરી એક બિનઅનુભવી કંપનીને સોંપી દેવામાં આવી હતી, એ જ રીતે અહીં પણ બોટિંગ કોન્ટ્રાક્ટ એક બિન અનુભવી કંપનીને જ આપી દેવાયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે કોટિયા ફૂડ પ્રા.લિમિટેડ નામની એક ફૂડ કંપનીને જ બોટિંગનો પણ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. કોટિયા કંપની જ અહીં ફૂડનો કોન્ટ્રાક્ટ પણ સંભાળતી હતી.