અપડેટ@મોરબી: બ્રિજ દૂર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટનો ચુકાદો અનામત

અટલ સમાચાર, ડેસ્ક
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. કોર્ટે બન્ને પક્ષને સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો છે.
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. કોર્ટમાં રજૂઆત થઇ કે આ ગંભીર મુદ્દો છે, આ કેસમાં આરોપીને જામીન ના આપી શકાય. પીડિત પક્ષે કોર્ટમાં જણાવ્યું કે મોરબી બ્રિજ દૂર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. કોર્ટે બન્ને પક્ષને સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. તમામ પક્ષની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી.સરકારી પક્ષે આરોપીને જામીન આપવાની પેરવી અને વિવિધ પક્ષ તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં 30 ઓક્ટોબર 2022માં પુલ તૂટતા 135 લોકોના મોત થયા હતા.મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 300થી વધુ લોકો ડુબી ગયા હતા. મોરબીનો 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો પુલ 143 વર્ષ જૂનો હતો. આ પુલનું ઉદ્દઘાટન 1879માં કરવામાં આવ્યું હતું. આ કેબલ બ્રિજને 1922 સુધી મોરબીમાં શાસન કરનારા રાજા વાઘજી રાવજીએ બનાવડાવ્યો હતો. વાઘજી ઠાકોરે પુલ બનાવવાનો નિર્ણય એટલા માટે કર્યો હતો જેથી દરબારગઢ પેલેસને નજરબાગ પેલેસથી જોડી શકાય.
મહત્ત્વપૂર્ણ છે કે મોરબી નગરપાલિકાની સામાન્ય બોર્ડની મંજૂરી વગર ઓરેવા ગ્રુપને પુલના સમારકામ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેને માર્ચ 2022માં પુલના સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઓક્ટોબરે પરવાનગી વગર તેને ખોલવામાં આવ્યો હતો. પુલ તૂટ્યો તે સમયે બ્રિજ પર 300 લોકો હાજર હતા જેમના ભારને તે તૂટી પડ્યો હતો.