આસ્થા@બનાસકાંઠા: ચૈત્રી નવરાત્રીમાં અંબાજી જવાના હોય તો જાણી લેજો આ સમાચાર, મંદિરના સમયમાં ફેરફાર

 
Ambaji

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં 22 માર્ચે સવારે 8.30થી 9.30 વાગ્યે ઘટ સ્થાપના થશે. એકમથી આરતીનો સમય સવારે 7થી 7:30નો રહેશે.

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન દર્શન સવારે 7.30થી બપોરે 11:30 સુધી થઇ શકશે. આ સાથે બપોરે 11:30થી 12:30, સાંજે 4:30થી 7 સુધી દર્શન બંધ રહેશે. તો સવારે 7 વાગ્યે મંગળા આરતી અને સાંજે 7 વાગ્યે સાયં આરતી થશે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી સુદ એકમથી આ ફેરફાર કરવામાં આવશે. જેમાં 22-3-2023ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે. જેમાં એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30નો રહેશે. સાંજે 7:00 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. 

 

Jaherat
જાહેરાત

ચૈત્રી નવરાત્રિ એ શક્તિના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુમાં ઉજવવામાં આવે છે. તેને ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર માસમાં આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે.

પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

માઈભક્તો માટે મળતી માહિતી અનુસાર, પાવાગઢ ખાતે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 06 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે. ચૈત્રી નવરાત્રિના 16 દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.