તપાસ@રાધનપુર: બાલસખા કૌભાંડ, હોસ્પિટલે સારવારના ખર્ચમાં પૈસા ઉભા કર્યા
અટલ સમાચાર, ગિરીશ જોશી
પાટણ જીલ્લા આરોગ્ય અને ખાનગી હોસ્પિટલ વચ્ચેના સંબંધોમાં ચોંકાવનારી તપાસ સામે આવી છે. રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં મોટાભાગની ડિલીવરીમાં ગંભીર પ્રકારની બિમારીવાળા બાળકો આવતા બાલસખાના લાભાર્થીઓનો આંકડો વધી ગયો છે. જેમાં 70 % બાળકોને પેટીમાં મુકી સારવાર આપી ઓછા દિવસ અને કાગળ ઉપર વધુ બતાવ્યા છે. જેનાથી સરકારી યોજનામાં એક બાળક દીઠ 49,000 ઉભા કર્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલી સાંઇ કૃપા હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ વચ્ચે એમઓયુ થયા હતા. જેમાં બાલસખા યોજના હેઠળ લાભાર્થીઓને નિ:શુલ્ક સારવાર આપવાની સમગ્ર યોજનામાં સારવાર અને ખર્ચ અંગે ગંભીર બાબતો સામે આવી છે. બાલસખા યોજનામાં ચોક્કસ પ્રકારના ગંભીર કે અતિગંભીર બિમારી ધરાવતા બાળકોને જ સારવારની જોગવાઇ છે. જેની સામે સાંઇકૃપા હોસ્પિટલે માત્ર 10 મહિનામાં 273 બાળકોને ગંભીર બિમારી હોઇ સારવાર આપી હોવાનું બતાવ્યુ છે.
યોજનાના લાભાર્થીઓ ખરેખર ગંભીર બિમારી ધરાવતા હતા અને કેટલા દિવસ સારવાર લીધી તેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો મળી છે. બાળક રડતું ન હતુ, ખરાબ પાણી પી ગયુ હતુ તેથી પેટીમાં રાખ્યુ હોવાનું લાભાર્થીઓએ જણાવ્યુ છે. જેમાં 273માંથી માત્ર 30 લાભાર્થીઓને મળી વિગતો મેળવતાં 7 લાભાર્થીઓનું વર્ણન અને સરકારી ખર્ચનું રેકર્ડ કૌભાંડની ખાત્રી કરાવે છે. 7 લાભાર્થીઓએ સાંઇકૃપા હોસ્પિટલમાં સરેરાશ 3થી 5 દિવસ સારવાર લીધી હતી. જ્યારે હોસ્પિટલે 7થી 8 દિવસ સારવાર આપી હોવાનું આરોગ્ય વિભાગને જણાવ્યુ છે.
કેવી રીતે થયું કૌભાંડ ?
બાલસખા યોજના મુજબ બાળકને 1 દિવસની સારવારના 7,000 લેખે વધુમાં વધુ 49,000નો ખર્ચ સરકાર ઉઠાવે છે. સાંઇકૃપા હોસ્પિટલે આ 7 લાભાર્થીઓને 7 થી 8 દિવસ સારવાર આપી એક બાળક દિઠ પુરા 49,000નો ખર્ચ બતાવ્યો છે. જ્યારે લાભાર્થીઓ જણાવે છે કે, બાળકને 3થી 5 દિવસ સારવાર આપી હતી.
દરેક લાભાર્થીની વિગતો
નંબર 1: લાભાર્થી: તુલસીબેન હરેશભાઇ મકવાણાએ જણાવ્યું
નંબર 2: લાભાર્થી: સંગીતાબેન અશ્વિનભાઇ બજાણિયાએ જણાવ્યું
નંબર 3: લાભાર્થી: મંજુબેન બચુભાઇ ભરવાડે જણાવ્યું
નંબર 4: લાભાર્થી: લાભુબેન કિશનભાઇ વાઘરીએ જણાવ્યું
નંબર 5: લાભાર્થી: કૈલાસબેન ભુપતભાઇ ઠાકોરના ગામના આશાવર્કરે જણાવ્યું
નંબર 6: લાભાર્થી: ઠાકોર સતુબેનના પતિ મહેશભાઇનું નિવેદન
નંબર 7: લાભાર્થી: આહીર પુરીબેનના પતિ ભરતભાઇનું નિવેદન
ખર્ચ સરકારનો તો પ્રચાર સાંઇકૃપા હોસ્પિટલનો
બાલસખા યોજનાના અનેક લાભાર્થીઓને મળી ખર્ચની વિગતો પુછતાં જણાવ્યુ હતુ કે, ખર્ચ થયો નથી. કેમ થયો નથી ? આ સવાલ કરતા જણાવ્યુ કે, ડોક્ટરે કાગળિયા માંગ્યા તે આપ્યા તેથી ખર્ચ થયો ન હતો. બાલસખા યોજના જાણો છો ? તો ના પાડી હતી. આથી ખર્ચ સરકારનો તો પ્રચાર હોસ્પિટલનો થયો હોવાનો ઘટસ્ફોટ છે.
એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં 273 બાળકો ગંભીર બિમારીવાળા કેવી રીતે ?
અટલ સમાચાર ડોટ કોમ દ્રારા 273 પૈકી સરેરાશ 3૦ લાભાર્થીઓને મળી હકીકતો જાણવામાં આવી છે. જેમાં મોટાભાગએ બાળક રડતાં ન હોવાથી પેટીમાં રાખ્યું હોવાનું તો કેટલાકે ખરાબ પાણી પી ગયું હોઇ પેટીમાં રાખ્યું હોવાનું જણાવ્યું હતુ. જેમાં પેટીમાં રાખ્યા બાદ સરેરાશ 2 દિવસમાં બાળકની તંદુરસ્તી સારી થયાનો દાવો કર્યો હતો. આથી માત્ર 10 મહિનામાં 273 બાળકો ગંભીર બિમારીવાળા કેવી રીતે હોઇ શકે ? તે સવાલ બન્યો છે.
લાભાર્થી સંગીતાબેન અશ્વિનભાઇ બજાણિયાની હકીકત અત્યંત ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ દ્રારા શોધવામાં તપાસવામાં આવેલ 7 પૈકી એક લાભાર્થીની હકીકત અત્યંત ગંભીર છે. નાયકા ગામના બજાણિયા સંગીતાબેન અશ્વિનભાઇને પોતાના ઘરે ડિલીવરી થયા બાદ 108 મારફત સમી આરોગ્ય કેન્દ્ર લઇ ગયા હતા. જ્યાં બાળકને વધુ સારવારની જરૂર હોવાનું કહી નર્સ સ્ટાફ દ્રારા રાધનપુર સાંઇકૃપા હોસ્પિટલ લઇ જવા દબાણ કર્યુ હતુ. 1.700 ગ્રામ( એક કીલો સાતસો ગ્રામ) વજનની બાળકીને સાંઇકૃપા હોસ્પિટલ લઇ જવા સામે તેની માતા સંગીતાબેને સતત મનાઇ કરી હતી. જોકે ભારે મુંઝવણ વચ્ચે સાંઇકૃપા હોસ્પિટલ બાળકીને સારવાર આપતા ત્રણ દિવસમાં બાળકીનું મોત થયુ હતુ. જેનો બાલસખા યોજના હેઠળ સાંઇકૃપા હોસ્પિટલે 8 દિવસ સારવાર આપી હોવાનુ બતાવી આરોગ્ય વિભાગને 49000 હજારનો ખર્ચ આપવા દર્શાવ્યું છે. યોજનામાં એકપણ રૂપિયાનો ખર્ચ લાભાર્થીએ નથી કરવાનો છતાં સંગીતાબેનના પતિ પાસે 300નો ખર્ચ કરાવ્યો હતો.