કવાયત@કચ્છ: પ્રથમવાર કચ્છમાં સમુદ્રી સીમાદર્શનનો થવા જઈ રહ્યો છે પ્રારંભ, જાણો શું છે ગુજરાત ટુરિઝમનો પ્લાન ?

અટલ સમાચાર, ડેસ્ક
કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિષે જાણકારી મેળવે તેમજ અહીની સરહદ પર તૈનાત આપણાં સીમા પ્રહરી એવા BSF ના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમ વખત આજ થી “સમુદ્રી સીમાદર્શન” નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારતના કચ્છ જીલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો પણ આજ થી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે.
આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયે વિસ્તારમાં બોટ રાઈડ (Boat Ride) નો પણ ભાગ લઈ શકાશે. તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે 6 સિટર, 12 સિટર અને 20 સિટર આમ અલગ-અલગ બોટ ફાળવવામાં આવેલ છે. જે પૈકી 6 સીટરની એક બોટ આજથી સ્થળ પર કાર્યરત કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-રાઈડ ચલાવવામાં આવશે.
ટૂંક સમયમાં અંહી પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં ફ્લોટિંગ જેટી ,વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર, પબ્લિક યુટિલિટી, BSF ઈન્ટરેકશન ફેસીલીટી, ભૂંગા રિસોર્ટ ,એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેઈલસ વગેરેનો સમાવેશ થાય છે. અત્રે એ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસનની સાથે સાથે જ BSF, ફોરેસ્ટ વિભાગ, અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે જેથી આ સુવિધા થકી ક્રિક વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે.
થોડા સમય માં જ બોર્ડર રાઈડ ની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે. જ્યાં મેન્ગરૂવના જંગલો બતાવવામાં આવશે. જેથી સમુદ્રી સીમામાં બોટ રાઈડ, ટાપુની મુલાકાતની સાથે “મેન્ગરૂવ સફારી” પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે. ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છમાં આવેલ હોટલ તોરણમાંથી પ્રવાસીઓ આ બોટ રાઈડના બુકિંગની માહિતી મેળવી સકશે ઉપરાંત લક્કી નાલાની પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે.