આનંદો@મહેસાણા: 67.69 કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ

 
Unjha Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે. મુખ્યમંત્રીએ આનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશનો શ્રેષ્ઠ વિકાસ થઇ રહ્યો છે, અને ભારતનું ગૌરવ વિશ્વમાં વધી રહ્યું છે. તેમણે ચંદ્રયાન-03ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગને ભારતની યશોગાથાના મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ગણાવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની સાથે રહેવાની છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે દશ કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.  

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભાવિ પડકારોના સામના માટે વર્તમાન સમયની સજ્જતા માટે રાજ્ય સરકાર હમેશાં સજાગ છે, તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યની જરૂરીયાતનો વિચાર કરીને રાજ્ય સરકાર વિકાસ કામોની કાર્યયોજના તૈયાર કરે છે,તેમણે પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણને જળસંચય માટેનું મહત્વપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિકાસ કાર્યોની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને પણ મહત્વ આપવું પડશે ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાના સામના માટે પ્રદુષણને અટકાવવા ઉપરાંત જળસંચય અને વૃક્ષારોપણના મહત્વને પણ સમજવું પડશે. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગને નિયંત્રિત કરવા અનુંરોધ કર્યો હતો અને પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા મિશન લાઇફ અભિયાનને મહત્વપુર્ણ ગણાવ્યું હતું.

રાજ્ય સરકાર છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુધી વિકાસ યોજના પહોંચાડવા સતત પ્રયાસરત છે તેમ જણાવી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રામાં જનશક્તિની સહભાગીતાને મહત્વપૂર્ણ ગણાવી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે દેશના અમૃતકાળના અનુપમ અવસરે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો. ઊંઝા ખાતે રૂપિયા ૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલ ટાઊનહોલનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. આ અવસરે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.      

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, ૬૯ કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી યોજનાથી મા નર્મદાનું અવતરણ અહીંની ધરતી પર થયું છે. ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરી ખેડૂતોની સમૃધ્ધિ થાય તે દિશામાં સરકાર પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રીની આગેવાનીમાં કામ કરી રહી છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતુ કે, પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા માટે અનેક વિકાસ કાર્યો કર્યા છે.. સુજલામ સુફલામ યોજના સહિત નદીમાં બેરેજ બનાવી જમીનના તળ ઊંચા આવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉમેર્યું હતું કે ખેડૂતોના ખેતર સુધી પાણી લાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં સમગ્ર ટીમ ગુજરાત દ્વારા થઇ રહ્યું છે.રાજ્ય વિકાસની નવી ઊંચાઇ તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે ખેડૂતો અને ગામડું સમૃધ્ધ થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમા મુકી છે.

ઉત્તર ગુજરાતને ઉત્તમ બનાવવાના સંકલ્પ સાથે સરકાર કામ કરી રહી છે તેમ જણાવતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયએ જણાવ્યું હતું કે, છેવાડાના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચે તેમજ દરેકને કામ કરે તે માટે હર ખેત કો પાની, હર હાથ કો કામ આ સૂત્રને સાકાર કરવા સરકાર કટિબઘ્ધ છે. પાણી પુરવઠામંત્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જળવ્યવસ્થાપનની વિવિધ યોજનાઓ હેઠળ જળસંચયથી ભૂગર્ભ રિચાર્જથી સુકી જમીને હરિયાળી બનાવવાનું કામ સરકાર દ્વારા કરાઇ રહ્યું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે રૂ. ૬૭.૬૯ કરોડના ખર્ચે નિર્મિત નહેર આધારિત બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા વિસનગર તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ સહિતની સગવડો પૂરી પડશે. તેમણે ખેડૂતોને અટલ ભૂજલ યોજના અંતર્ગત ગુજરાત પ્રોત્સાહક યોજના અંગે માહિતી આપીને તેનો લાભ લઈ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી સમૃદ્ધ કરવા માટે આહવાન કર્યું હતું.