આક્રોશ@ઉ.ગુ.: વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન, જાણો શું છે સમગ્ર મામલો ?

અટલ સમાચાર, મહેસાણા
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચાર મામલે ધરપકડને લઇને રાજકારણ ગરમાયુ છે. અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં ધરણા સાથે જેલ ભરો આંદોલન કરવામાં આવી રહ્યુ છે. વિપુલ ચૌધરીની ધરપકડને લઇને મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં અર્બુદા સેનાએ વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. બીજી તરફ પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
અર્બુદા સેનાએ પોતાના નેતા વિપુલ ચૌધરીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે અને તેમણે જલ્દી છોડાવવાની માંગ કરી છે. અર્બુદા સેના દ્વારા ધરણા, ઉપવાસ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. વિપુલ ચૌધરીની અટકાયતને લઇને ચૌધરી સમાજ સરકાર સામે રોષે ભરાયો છે. ઉત્તર ગુજરાતમાં 10થી 20 ઓક્ટોબર વચ્ચે ગામે ગામમાં અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીની પાઘડી સાથે સમ્મેલન અને રેલી યોજવામાં આવી હતી. મહેસાણાના ખેરાલુના ડભાડ ગામમાં પણ 12 ઓક્ટોબરે આંજણા ચૌધરી સમાજ દ્વારા હનુમાનનગરમાં સમ્મેલન યોજવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિપુલ ચૌધરીને છોડાવવાની આક્રોશજનક માંગો કરીને સરકારને પડકાર ફેંકવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જો વિપુલ ચૌધરીને છોડવામાં નહી આવે તો ચૌધરી સમાજના મત ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોચાડી શકે છે. અર્બુદા સેનાના પ્રવક્તાએ કહ્યુ કે, સરકાર આ તમામ વિરોધ પછી અણારી વાત નહી માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજ પોતાની તાકાત બતાવશે. અર્બુદા સેનાનો એક પત્ર વાયરલ થયો છે જેમાં વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે આંદોલન વિશે માહિતી આપવામાં આવી છે. આંજણા ચૌધરી સમાજના લોકપ્રીય આગેવાન વિપુલ ચૌધરીને માત્ર રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરી સમગ્ર આંજણા ચૌધરી સમાજનું અપમાન છે. ચૌધરી સમાજની તથા પશુપાલકોની લાગણી દુભાયેલી છે. વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલ મુક્ત કરવામાં નહી આવે તો અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.