વડનગરઃ આચાર્યની બદલીની માંગ સાથે, વહેલી સવારે ગામ લોકોએ ભેગા મળી, સરકારી શાળાને તાળાબંધી કરી

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલા સુંઢિયા ગામમાં વહેલી સવારે જ ગામ લોકોએ ભેગા મળીને ગામની સરકારી શાળાને તાળાબંધી કરી હતી. આચાર્યના અણઘડ વહીવટના કારણે શાળામાં સુવિધા નથી, તેમજ સરકારમાંથી આવતી ગ્રાન્ટનો દુરુપયોગ કરાતો હોવાના આક્ષેપ કરી આચાર્યની બદલીની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. વડનગર નજીકના સુંઢિયા ગામમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રાજેન્દ્ર લવજીભાઈ ચૌધરીની બદલીની માંગ સાથે આજે વહેલી સવારે ગામ લોકોએ શાળાને તાળા મારી દીધા હતા. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે શાળામાં જે વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ છે. A ગ્રેડમાં ચાલતી શાળા c ગ્રેડમાં આવી ગઈ છે. આચાર્ય દ્વારા સરકારમાંથી આવતી ગ્રાન્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વાલીઓને ગેરમાર્ગે દોરી હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારી માંગ છે કે, તાત્કાલિક આચાર્યની બદલી કરવામાં આવે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સુત્રોએ જણાવ્યું હતુ કે, આચાર્ય રાજેન્દ્ર ચૌધરી છેલ્લા 9 વર્ષથી કાર્યકરત હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. આ આચાર્ય દ્વારા મોટા પ્રમાણમાં કૌભાંડ પણ કરવામાં આવ્યા હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. વિકાસ માટે આવતી ગ્રાન્ટો ખોટા બીલો બનાવી બરોબર વાપરી નાખવાનો આક્ષેપ છે.આ મામલે ફાલ્ગુનીબેને જણાવ્યું કે, તાળાબંધી એટલે કરવામાં આવી કે, આચાર્ય બાળકો પાસે પાણીની ટાંકીઓ અને ટોયલેટ સાફ કરાવે છે. શાળાના વિકાસના નામે ગ્રાન્ટ પાસ કરાવીને બારોબાર વાપની નાખે છે. ગ્રામજનો આચાર્યની બદલી માટે મક્કમ છે.