ગંભીર@સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ બન્યા બેફામ, જમીનના પેટાળમાં ગેરકાયદેસર સુરંગો બનાવી ?

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના થાન પંથકમાં ગેરકાયદેસર ખનીજ ખોદગામ કરી ખનીજ માફિયાઓએ જમીનના પેટાળમાં સુરંગો બનાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

સુરેન્દ્રનગરના થાન પંથકમાં ખનીજ માફિયાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ખનીજ માફિયાઓ સુરંગોમાં ટ્રેક્ટર સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને ખનીજ કાર્બોસેલની ચોરી કરી રહ્યાં છે.

ખનીજ માફિયાઓ તંત્રને પડકાર ફેકતા હોય તેમ ખુદ સુરંગો બનાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી રહ્યા છે. ખનીજ માફિયાઓને કોઇનો ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખનીજ માફિયાઓનો વીડિયો સામે આવતા જ ખાણ ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. થાન પંથકમાં હજારો એકર જમીન બેસી જઇ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.