રિપોર્ટ@દે.બારીયા: જંબુસરમાં એક જ જગ્યાએ 3-3 વખત રોડ, મનરેગાના વહીવટનો મહાકાંડ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકાના અનેક ગામોમાં મનરેગાનો વહીવટ ચોંકાવનારો અને ગંભીર સવાલો કરી રહ્યો છે. જંબુસર ગામમાં મનરેગાના રોડ, કેટલસેડ અને સ્ટોનબંધની મહા કટકીની આ ઘટસ્ફોટ શૃંખલામાં હવે એક એક કામ સમજવું પડે તેમ છે. ગામમાં અનેક જગ્યાએ એવા રોડનો ખર્ચ પાડ્યો છે કે જ્યાં ક્યાંક રોડ જ નથી જ્યારે ક્યાંક રોડ કર્યો છે તો એકવાર. અહીં મનરેગાનો રોડ વહીવટ ઓનલાઇન પોર્ટલ ઉપર જ ખુલાસો કરી રહ્યો છતાં સંબંધિત કર્મચારી કૌભાંડની મનાઇ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે દેવગઢબારિયા મનરેગાવાળાએ ગામનાં જાહેર હિતમાં તમામ રોડના સર્વે નંબર જાહેર કરે તો મોટો ખુલાસો સપાટી ઉપર આવી શકે છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામમાં મનરેગા હેઠળ વર્ષ 2019 થી 2022 દરમ્યાન મટીરીયલના ઢગલાબંધ કામો થયા છે. જેમાં ખાસ કરીને માટી મેટલ અને સીસી રોડ આમ નાગરિકને પણ કેમ ચોંકાવી રહ્યા તે સમજવું પડે તેમ છે. જંબુસર ગામમાં એવી અનેક જગ્યા એટલે કે શેરી, રસ્તો છે કે જ્યાં દુબાર અને તિબાર ખર્ચ કરવામાં આવ્યો છે. ડામર રોડથી શ્મશાન જતાં માર્ગ ઉપર 4 વખત મનરેગાના રોડનો ખર્ચ પાડવામાં આવ્યો છે. ગામનાં જાગૃત નાગરિકોના મતે, અહીં શ્મશાન જતાં માર્ગની વાત છે તે એક જ એવો માર્ગ છે જ્યાં મનરેગાએ ચાર ચાર વખત ખર્ચ કર્યો છે. 4 વખત સરેરાશ 20 લાખનો ખર્ચ કર્યો છે પરંતુ અહિંથી પસાર થાઓ તો દેખીતો ઘટસ્ફોટ થાય છે. આ બાબતે મનરેગાના કર્મચારીઓ કોઈ જ કૌભાંડ નહીં હોવાની દલીલ કરે છે. હવે હકીકતલક્ષી બાબતો સમજવા એક મોટો ખુલાસો રામબાણ સાબિત થઈ શકે છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જો એક જ જગ્યાએ અનેક વાર રોડનો ખર્ચ નથી થયો તો, મનરેગાવાળાએ જંબુસર ગામના હિતમાં જેટલા પણ રોડના ખર્ચ કર્યા છે તેના તમામ સર્વે નંબર જાહેર કરવા જરૂરી છે. ગામમાં જેટલા પણ રોડ બનાવ્યા છે તેનુ પરફેક્ટ લોકેશન શોધવા એકમાત્ર સર્વે નંબર રામબાણ બની શકે છે. જો તમામ રોડના સર્વે નંબર જાહેર થાય અને સામે જાગૃત લોકો ગામના નકશા આધારે રોડ શોધે તો અત્યંત ચોંકાવનારો ખુલાસો જનહિતમાં સામે આવે તેમ છે. આ સમગ્ર મામલે નવા આવેલા ટીડીઓ દર્શનભાઈને પૂછતાં જણાવ્યું કે, વિગતોનો અભ્યાસ કરી નિર્ણય કરવાનું કહ્યું હતુ.