બ્રેકિંગ@સાંતલપુર: પાટણકા ગામે એક સાથે 35થી વધુ ઘેટાઓનાં મોત, જાણો શું છે કારણ ?

અટલ સમાચાર, ડેસ્ક
સાંતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં એકસાથે 35 અબોલા પશુઓના મોતની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ ખોરાકી ઝેરથી ઘેટાઓના એક સાથે મૃત્યુ થતાં પશુ ચિકિત્સકો અને સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું છે. ખેતરમાં ઘાસચારો ચરીને પરત ફરી રહેલા ઘેટાઓ પૈકી 35 જેટલા ઘેટાઓને ખોરાકી ઝેરની અસર થવાથી તેઓનું ગામના પાદરમાં જ મોત નિપજ્યુ હતું.
પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાનાં પાટણકા ગામેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વગિતો મુજબ ગામની સીમના ખેતરમાં ઘાસચારો ચરીને ઘેટાઓ પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક 35 જેટલા ઘેટાઓને ખોરાકી ઝેરની અસર થવાથી મોત નિપજ્યુ હતું. આ તરફ એક સાથે 35 જેટલા ઘેટાઓના મોત થવાથી માલધારી પશુપાલકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવને પગલે તલાટી સહિત પશુચિકિત્સકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘેટાઓના મૃત્યુનું કારણ જાણવાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં માલધારી પશુપાલકોએ પોતાના અબોલા પશુ અકાળે ગુમાવતા તેઓને મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.