ગંભીર@નવસારી: રમતગમતના ટેન્ડરમાં સેટિંગ્સથી ભ્રષ્ટાચાર, અધિકારી વિરુદ્ધ વેપારીની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નવસારી જિલ્લા રમતવિકાસ અધિકારીએ નાણાંકીય વર્ષ 2024-25 માટે મળેલ ગ્રાન્ટથી સરેરાશ 40 લાખનું સ્પોર્ટ્સ મટીરીયલ ખરીદવા ટેન્ડર કર્યું હતુ. જેમાં અનેક એજન્સીઓએ ભાગ લીધો હતો પરંતુ મળતિયા વેપારીની સાંઠગાંઠ ધરાવતી સિવાયની એજન્સીઓને શંકાસ્પદ કારણો આપી આઉટ કરવામાં આવી હતી. ટેકનિકલ ચકાસણીમાં ડોક્યુમેન્ટ યોગ્ય હોવા છતાં પોતાની એજન્સી કાઢી નાખવા વિરુદ્ધ વેપારીએ ગંભીર ફરિયાદ કરી છે. એક જ વેપારીને ઠેકો આપવા આર.એ પ્રક્રિયામાં કાર્ટેલ કરી કેવીરીતે સેટિંગ્સથી ભ્રષ્ટાચાર કર્યો તેના કારણો આપી કલેક્ટરને ફરિયાદ કરાઇ છે. સૌથી મોટો સવાલ ત્યાં થાય કે, ખરીદનાર અધિકારીને ખબર કે, સદર વસ્તુઓ બજારમાં સરેરાશ 2 લાખમાં મળી શકે છતાં રિવર્સ ઓક્શનમાં ભાવો ઘટ્યા કેમ નહિ. જાણીએ સેટિંગ્સથી કેવીરીતે થયો મહા ભ્રષ્ટાચાર?
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રમતવિકાસ અધિકારીને વિવિધ શાળાઓમાં રમતગમતના સાધનો આપવા સરેરાશ 40 લાખની ગ્રાન્ટ અપાઇ હતી. આ 40 લાખનું મટીરીયલ ખરીદવા રમતવિકાસ અધિકારીએ 10 લાખનું એક એવા 4 ટેન્ડર કર્યા હતા. જેમાં અનેક વેપારીઓએ 5 લાખથી પણ ઓછાં ભાવે ઉચ્ચ ગુણવત્તાનો સામાન આપવા તૈયારી બતાવી હતી. જોકે કથિત આક્ષેપ મુજબ પૂર્વ આયોજિત સેટિંગ્સ થયેલું હોવાથી અનેક એજન્સીઓને શંકાસ્પદ અને ખોટાં કારણો બતાવી તમો લાયકાતો ધરાવતાં નથી કહી ટેન્ડર પ્રક્રિયામાંથી બાકાત કરી હતી. આ પછી શાહ બંધુઓની સેટિંગ્સવાળી એજન્સીઓને રાખી તેઓની વચ્ચે પૂર્વ આયોજિત રિવર્સ ઓક્શન શરૂ કર્યું હતુ. હવે અહીં ભ્રષ્ટાચારનો ભાંડો વેપારીએ ફોડ્યો તે પણ જાણો. નામો ભલે અલગ અલગ ધરાવતી હોય પરંતુ બધી એજન્સીઓ શાહ બંધુઓની હતી અને તેઓના મારફતે જ ઓપરેટ થતી હોઈ ઈરાદાપૂર્વક 10 લાખના ટેન્ડરનો ભાવ માત્ર 5 હજાર ઘટાડી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી/કરાવી દીધી. વાંચો નીચેના ફકરામાં.
સમગ્ર મામલે વીર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીના વેપારીએ નવસારી કલેક્ટરને ફરિયાદ કરી છે કે, રિવર્સ ઓક્શનમાં કાર્ટેલ થયું હોઈ તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે. જોકે આ તરફ કલેક્ટર મેડમ રજા ઉપર હોઈ રમતવિકાસ અધિકારીએ કેટલાક દિવસ હોલ્ટ રાખી આખરે 9.55 લાખમાં વર્ક ઓર્ડર છોડી દીધો છે. હવે અહિં વેપારીના ગંભીર સવાલો અને આક્ષેપો છે કે, કલેક્ટર સમક્ષ લેખિત મૌખિક રજૂઆતો બાદ તપાસ પ્રક્રિયા હેઠળ છતાં વર્ક ઓર્ડર આપી સરકારને નાણાંકીય નુકસાનથી બચાવવા કોઈ પ્રયત્ન થયો નથી. જો સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની ટેકનિકલ સહિતની વેપારી અને અધિકારી વચ્ચેના સંપર્કની તપાસ થાય તેમજ ઉંડાણપૂર્વકની તપાસ થાય તો ભ્રષ્ટાચાર જ નહિ પરંતુ સિસ્ટમમાં રહી કેવીરીતે ભ્રષ્ટાચાર થાય તેનો ભાંડો ફૂટી શકે છે. આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં સરકારને નાણાંકીય બચાવ કરાવવા અધિકારીએ ક્યાં કચાશ રાખી અથવા બેદરકારી દાખવી તેનો ઘટસ્ફોટ જાણવા પ્રયાસ કરીશું.