ચકચાર@ચાણસ્મા: જમીન બાબતે લાકડી-પાઈપથી હુમલા બાદ આધેડ ઉપર ગાડી ચડાવી, મોત થતાં હાહાકાર

 
Chanshma

અટલ સમાચાર, ડેસ્ક

આપણે ત્યાં એક કહેવત છે જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું. આવી જ એક ઘટના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામેથી સામે આવી છે. અહીં જમીન મામલે એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ગામ જ ઇસમો દ્વારા પરિવારના એક સભ્ય પર ઇકો કાર ચડાવી દેતાં તેમનું મોત થયું છે. આ સાથે અન્ય લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામમાં જમીન મામલે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી. કલોલના એક આધેડનું ફાર્મ હાઉસ ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે આવેલું છે. જે તેમના પરિવારના સભ્યો સાથે ખેતરમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયા હતા. આ સમયે નજીકમાં ખેતર ધરાવતા કેટલાક ઇસમો ત્યાં ધસી આવ્યા હતા અને લાકડીઓ તથા પાઈપો વડે હુમલો કર્યો હતો. એક શખસે આધેડ ઉપર ઈકો ગાડી ફેરવી દેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક યુવાનને પણ માર મારવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચાણસ્મા સિવિલમાં ખસેડાતાં તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજના આશરે ચારેક વાગ્યાની આસપાસ ઝિયાઉલહક તથા તેમના કાકા યુનુસભાઇ દાદાભાઈ, તેમજ તેમના કાકાનો દીકરો આયનુલહક મુર્તુઝાભાઈ, ઝુલફિકાર મુર્તુઝાભાઈ તથા ક્યુમ અશરકભાઈ ખેતરે તાર ફેન્સિંગ કરવા માટેના થાંભલા ઉતારવા ગયા હતા. ત્યારે ગાડીમાંથી થાંભલા ઉતારતા હતા, તે દરમિયાન જાઉલહક અકબરભાઈ હસનભાઈ હાથમાં લોખંડનું ધારિયું લઈ, કમરુદીન બાબુભાઇ ઉર્ફે શાહબુદ્દીન હુસેનભાઈ હાથમાં લોખંડની પાઈપ લઈ તેમજ અયુબભાઈ હાથમાં ખોલવાળી લાકડી અને અનવરભાઈ હાથમાં લાકડી લઈ અપશબ્દો બોલતાં બોલતાં આવ્યા હતા.

રમઝુભાઈ બાબાભાઈ ટ્રેક્ટર ઊભું રાખી નીચે ઉતારી આ પાંચેય શખ્સો અપશબ્દો બોલી કહેતા હતા કે, અહીં શું કામ થાંભલા ઉતારો છે, તેમ કહીં જાઉલહક અકબરભાઈ હસનભાઈએ યુનુસભાઈને પાટું મારી નીચે પાડી દીધા હતા અને ચાર શખ્સોએ ગડદાપાટુનો માર મારી નીચે દબાવી રાખ્યા હતા. આ સમયે એક ઈકો ગાડીમાં સહેજાદભાઈ અનવરભાઈ અમદુભાઈ ત્યાં આવ્યો હતો અને ઝિયાઉલહકના કાકાને આ પાંચ શખસોએ નીચે પાડી પકડી રાખ્યા હતા. ત્યારે સહેજાદને આ લોકોએ બૂમ પાડી કહ્યું હતું કે, ગાડી ઉપર ચડાવી દે આને આજે પતાવી દેવાનો છે તેમ કહેતાં સહેજાદે યુનુસભાઈ ઉપર ઈકો ગાડી ચઢાવી દીધી હતી.

ફરિયાદીના સગાના કહ્યા મુજબ સહેજાદભાઈ અનવરભાઈ અમદુભાઈ જે ગાડીમાંથી નીચે ઊતરી કોઈકને ફોન કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, અકબર મામા તમારા કહેવા મુજબ યુનુસને પૂરો કરી દીધો છે. જેથી ઝિયાઉલહકના કાકાનો દીકરો આયનુલહક મુર્તુઝાભાઈ છોડાવવા આવતો હોય આ શખ્સોએ તેને પકડી જાઉલહક અકબરભાઈ હસનભાઈએ ધારિયું માર્યું હતું. હોબાળો થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાતાં ચાણસ્મા સિવિલના તબીબે યુનુસભાઈ દાદાભાઈને મૃત જાહેર કર્યા હતા તથા તેમના દીકરા આયનુલહક મુર્તુઝાભાઈને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ ખસેડાયા હતા.

આ તરફ ટાકોદી ગામમાં મારામારી અને હત્યા થઈ હોવાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સાથે તાત્કાલિક ગામમાં પહોંચી ગયાં હતાં. એક જ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડા બાદ હત્યાનો બનાવ બનતાં વાતાવરણ તંગ બન્યું હતું. ગામમાં અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે હત્યારાઓ સામે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.