કવાયત@બનાસકાંઠા: તમામ કોર્ટમાં આ તારીખે લોક અદાલતનું આયોજન, કેસનું સ્થળ ઉપર નિરાકરણ

 
Adalat

અટલ સમાચાર, પાલનપુર 

બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટમાં તારીખ 11 ફેબ્રુઆરીનાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કેસનું સ્થળ ઉપર નિરાકરણ થશે. બનાસકાંઠા જિલ્લાની કોર્ટોમાં 2023નાં વર્ષની પ્રથમ લોક અદાલત આગામી તા.11 ફેબ્રુઆરી-2023 ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટો તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે.

 

બનાસકાંઠા જિલ્લાની કોર્ટોમાં આગામી તા.11 ફેબ્રુઆરી 2023 ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા, સમાધાન માટે મુકી શકાશે.

કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાનપાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત સુપ્રિટેન્ડન્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર ટેલિફોન નંબર 02742 261495 ના સરનામે સંપર્ક કરવા તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ પી. પી. શાહએ જણાવ્યું હતું.