પડઘો@અટલ સમાચાર: આચારસંહિતા ભંગ બદલ રાધનપુર ગંજના વેપારી સામે FIR
અટલ સમાચાર, પાટણ
રાધનપુર ગંજબજારમાં હરાજી દરમિયાન ભાજપને મત આપવા સામે પ્રલોભન આપતો વિડિયો વાઇરલ થયો હતો. સમગ્ર મામલે અટલ સમાચારના અહેવાલ બાદ પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં હકીકત ધ્યાને લઇ ગંજબજારના વેપારી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રાધનપુર ગંજબજારના વિડિયોની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. જેમાં ગંજબજારના વેપારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. નિવેદનમાં મજાકમાં બોલાયેલા શબ્દો હોવાનું જણાવ્યું હતું. જોકે તપાસ અધિકારીએ આચારસંહિતા ભંગ થઇ હોવાનો રિપોર્ટ કર્યો હતો.
પાટણ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી ડી.એલ પરમારે રાધનપુર પાલિકાના ચીફ ઓફિસરને સુચના આપી હતી. જેથી ગંજબજારના વેપારી બાબુભાઈ રણછોડભાઈ ચૌધરી સામે આદર્શ આચારસંહિતા ભંગની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આઇપીસી કલમ 171B, 171E અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.