કવાયત@ઉ.ગુ: પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવે 2025માં બની જશે, ધિણોજ અને મેઉં નજીક બનશે ટોલ પ્લાઝા

 
National Highway

અટલ સમાચાર,ડેસ્ક 

ઉત્તર ગુજરાત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પાટણ-ગોઝારિયા વચ્ચે નવીન નેશનલ હાઇવેનું કામકાજ એક વર્ષ બાદ શરૂ થયું છે. જે અંતર્ગત પાટણના ખાન સરોવરથી લઇ ગોઝારિયા સુધીના 79.150 કિલોમીટરના આ પ્રોજેક્ટ પાછળ રૂ.1152 કરોડથી વધુ ખર્ચાશે. જો તંત્રનું માનીએ તો મહેસાણા-પાટણને જોડતો નેશનલ હાઇવે 2025માં બનીને તૈયાર થશે. 

મહેસાણા અને પાટણ જિલ્લાને જોડતા નેશનલ હાઇવેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. વિગતો મુજબ આ આખા નેશનલ હાઇવે પર 6 લેનનો 1 એલિવેટેડ કોરિડોર સાથે 6 લેનના 5 ફ્લાયઓવર બનશે. આ સાથે 1 એલિવેટેડ કોરિડોર અને 5 ફ્લાયઓવરની આસપાસ 5 ઓવરપાસ અને 6 અંડરપાસ બનશે. 

ધિણોજ અને મેઉં નજીક બનશે ટોલપ્લાઝા

પ્રાપ્ત માહિતી મુજબ આ નેશનલ હાઇવે પર 42 નાના જંકશન રહેશે. જેમાં પાટણથી ગોઝારિયા તરફ આવતાં 31 જંકશન અને તેની સામે 26 જંકશન રહેશે. તેમજ પાટણના ધિણોજ નજીક અને ગોઝારિયાના મેઉં નજીક એમ બે સ્થળોએ ટોલપ્લાઝા બનાવવામાં આવશે. મહત્વનું છે કે, પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવે પર પ્રથમ તબક્કે પાલાવાસણા સર્કલ પરથી પ્રોજેક્ટના સૌથી મોટો એલિવેટેડ કોરિડોરની કામગીરી શરૂ કરાઇ છે. આ માટે મહેસાણા તરફ આવતાં રોડ પરની એકબાજુ બેરીકેટિંગ કરી દેવાયું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, રામપુરા સર્કલ (મહેસાણા-ગાંધીનગર હાઇવે), શિવાલા સર્કલ (મહેસાણા-અમદાવાદ હાઇવે), બહુચરાજી સર્કલ (મોઢેરા સર્કલ) અને પાંચોટ સર્કલ (પાલનપુર-અમદાવાદ હાઇવે) પર 6 લેનના 5 ફ્લાયઓવર બનશે. આ સાથે અહી ​​​​​​2 સ્થળે ભારે વાહનો પાર્ક કરી શકાશે, વરસાદી પાણીના સંગ્રહ અને રિચાર્જ પણ કરાશે. આ સાથે અહી હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સાથે હાઇવે પેટ્રોલિંગ રહેશે, સ્ટ્રીટલાઇટ, લેન્ડસ્કેપિંગ વૃક્ષારોપણ, ટ્રાફિક સહાય, તબીબી સહાય, વાહન બચાવ પોસ્ટ પણ ઊભાં કરવામાં આવશે. આ સાથે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.