રીપોર્ટ@ગુજરાત: PMJAYના બીલોની બાકી ચુકવણીને લઈ ખાનગી હોસ્પિટલો આર્થિક સંકળામણમાં, સેવાઓ બંધ થશે ?

 
Pmjay

અટલ સમાચાર, ડેસ્ક

PMJAY યોજનાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીલોની ચુકવણી ન થવાને કારણે હોસ્પિટલો આર્થિક સંકળામણમાં મુકાઈ છે. જેના લીધે ગુજરાતમાં પ્રધાનમંત્રીની ડ્રીમ PMJAY યોજના સંકટમાં મુકાઈ હોવાનું આ યોજના સાથે જોડાય વિવિધ હોસ્પિટલના એસોસિએશને જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ બરોડાની 20 હોસ્પિટલો, જૂનાગઢની હોસ્પિટલો, સુરત, બનાસકાંઠા અને અમદાવાદની ઘણી હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર બંધ કરી ચૂકી છે. હાલમાં રાજ્યની 750 હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલી છે. ધીરે ધીરે તમામ હોસ્પિટલો આ સેવા બંધ કરી દેશે કારણ કે સરકાર અમને દિલાસો આપવા સિવાય કંઈ કરી રહી નથી અને બજાજ ઇન્સ્યોરન્સ કંપનીનો ત્રાસ વધી ગયો છે.

એસોસીએશનના પ્રવક્તા ડોક્ટર રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં PMJAY આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઈવેટ હોસ્પિટલ SHA ગવર્મેન્ટ અને ઈન્યુરન્સ કંપની સાથે Triparty MoU કરવામાં આવે છે, પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેસલેસ સારવાર આપવામાં આવે છે. MoU મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની અંદર ઈન્સુરન્સ કંપની દ્વારા કરવાનું હોય છે અને જો વીમા કંપની દ્વારા 15 દિવસ પછી પેમેન્ટ કરે તો 0.1% લેખે પર અઠવાડિયે વ્યાજ ચુકવણીની જોગવાઈ છે. તેમ છતાં ગુજરાતની 300થી વધારે પ્રાઈવેટ PMJAY empanelled હોસ્પિટલની પોલિસી 5, 6, 7ના (જુલાઈ 2021 થી જુલાઈ 2023) છેલ્લા 2 વર્ષના આશરે 300 કરોડથી વધુ પેમેન્ટ બાકી છે. પરંતુ હવે લાંબા સમય સુધી આ બીલની ચુકવણી નથી કરવામાં આવતી, ત્યારે ખર્ચ કરવા માટે હોસ્પિટલ પહોંચી ન શકે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. હોસ્પિટલને સારવાર દરમિયાન જરૂરી દવાઓ, અન્ય સંશાધનો, સ્ટાફ પગાર વગેરેનો ખર્ચ દર મહિને ચૂકવવો પડે છે. પરંતુ જ્યારે બાકી બીલની રકમ મહિનાઓ અને વર્ષો સુધી ન મળવાને કારણે અત્યંત ગંભીર આર્થિક કટોકટી હોસ્પિટલો માટે સર્જાઈ છે.

આ બાબતની PMJAY યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં દરેક વખતે બાહેધરી આપવામાં આવે છે કે હોસ્પિટલને તાત્કાલિક ધોરણે બિલની ચુકવણી કરવામાં આવશે. પરંતુ હજુ સુધી ઘણી મોટી રકમની ચુકવણી બાકી છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર યોગ્ય સારવાર PMJAY યોજના હેઠળ મળતી રહે તે માટે સરકારને તાત્કાલિક ધોરણે હોસ્પિટલોના બાકી બિલની ચુકવણી સતવરે કરવાની જરૂર છે. આ ઉપરાંત બિલની પોલિસી 8માં વીમા કંપનીઓ દ્વારા દર્દીને યોગ્ય રીતે સંપૂર્ણ સારવાર આપવા છતાં પણ હોસ્પિટલોને PMJAY ટેરિફ અનુસાર મળવાપાત્ર બિલની રકમમાં અયોગ્ય રીતે ઘટાડો કે નામંજૂર કરવામાં આવે છે અને આના કારણે પણ હોસ્પિટલો વધુને વધુ આર્થિક કટોકટીમાં આવતી જાય છે. Deduction અને Rejection આ ઉપરાંત ચાલુ વર્ષની પોલિસીનું ઘણું પેમેન્ટ, આશરે 500 કરોડ ચુકવણી બાકી છે.

છેલ્લા દોઢ વર્ષથી વારંવાર PMJAY અધિકારીઓ, CDHO, હેલ્થ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ મિનિસ્ટ ઋષિકેશ પટેલ, CM ભુપેન્દ્રઈ પટેલ, યુનિયન હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિવસ સુધી પેન્ડિંગ પેમેન્ટ કરવામાં આવ્યું નથી. અત્યારે ઘણી પ્રાઈવેટ હોસ્પિટલોને PMJAY સેવા બંધ કરવી પડે એવી આર્થિક સંકળામણ સર્જાઈ છે. PEPHAG દ્વારા CM ભુપેન્દ્રભાઈ પટેલ તથા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પેન્ડિંગ પેમેન્ટની ચુકવણી કરવામાં આવે તેમજ ચાલુ પોલિસીમાં પણ પેમેન્ટ ચુકવણી નિયમિત રીતે TAT સમય મર્યાદા 15 દિવસ મુજબ કરવામાં આવે નહીંતર આવનારા સમયમાં તમામ હોસ્પિટલોએ આ યોજના હેઠળ લોકોને સેવા સારવાર બંધ કરવાની ફરજ પડશે.