વરસાદ@રાધનપુર: ભારે વરસાદ, બે ગામ વચ્ચે વાહનવ્યવહાર અસરગ્રસ્ત
અટલ સમાચાર, મહેસાણા
પાટણ જીલ્લાના સમી અને રાધનપુર પંથકમાં મેધરાજાની બેટીંગને પગલે અપુરતો વરસાદ હવે નથી. જોકે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે જનજીવન ઉપર અસર થઇ રહી છે. સમીના ગોચનાદ જતા માર્ગ પરનું નાળું તુટી રહ્યું છે. માર્ગનો કેટલોક હીસ્સો ધરાશાયી થતા સિંગલપટ્ટી રસ્તો પણ બંધ થાય તેવી નોબત બની છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પંથકના રહીશો માર્ગ વ્યવહાર બંધ થવાની ભિતિ સેવી રહ્યા છે.
પાટણ જીલ્લામાં છેલ્લા બે દિવસથી સુર્યદેવની ગેરહાજરી વચ્ચે મેઘરાજાની સવારી નીકળી છે. સમી અને રાધનપુર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા માર્ગ વાહન વ્યવહારને મુશ્કેલી થઇ હોવાનું સામે આવ્યુ છે. સમી તાલુકાના ગોચનાદ અને બિસ્મીલ્લાબાદ ગામ વચ્ચેનો સિંગલપટ્ટી માર્ગ બંધ થવાની સંભાવના છે. બંને ગામ વચ્ચેના માર્ગ ઉપરનું નાળું તુટી જતા ડામર સહિતનો હીસ્સો ધરાશાયી થયો છે. જેનાથી દ્રિચકીય વાહનો માંડ પસાર થાય છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બપોર સુધીમાં બંને ગામ વચ્ચે ચાર ટાયરના વાહનો પસાર થવા અત્યંત જોખમી બનતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી ગોચનાદ અને બિસ્મીલ્લાબાદની આજુબાજુના ગામો એકબીજાથી સંપર્ક વિહોણા થવાની ભિતિ સેવી રહ્યા છે. સમગ્ર મામલે સ્થાનિકોએ વિડીયો બનાવી વિગત વર્ણવી છે. જેમાં માર્ગ મકાન (પંચાયત) અને પાટણ જીલ્લા વહીવટીતંત્રને કાર્યવાહી કરવા જણાવ્યુ છે.