પડઘો@અટલ સમાચારઃ કોંગ્રેસની ઊંઘ ઉડી, પાણી માટે કરશે આંદોલન
અટલ સમાચાર, મહેસાણા
ગત 7 એપ્રિલે અટલ સમાચાર પોર્ટલ દ્વારા ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની પારાયણ સામે કોંગ્રેસ નિંદ્રાધીન હોવાના અહેવાલની અસર થઈ છે. ઉત્તર ગુજરાતની પાટણ જિલ્લા કોંગ્રેસ સફાળી જાગી આંદોલનના મૂડમાં આવી છે. જ્યારે બનાસકાંઠા કોંગ્રેસ હજુપણ કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું જણાઈ આવ્યું છે. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે આવેદનપત્ર પાઠવી જનઆંદોલન કરવાની તૈયારી આદરી છે.
આવેદનમાં જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં પાણી, ઘાસચારો અને નર્મદા કેનાલ તેમજ ખેડૂતોના પ્રશ્નો આજે પણ યથાવત છે. પાટણ જિલ્લામાં અછતની પરિસ્થિતિ વચ્ચે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીની ભારે બુમરાડ તેમજ પશુઓને ઘાસચારો ના મળતા તેઓની હાલત દયનીય દશામાં મુકાઈ જવા પામી છે. લોકોને પાણી મેળવવા વલખા મારવાની સ્થિતી ઉભી થઈ છે. આવી પરિસ્થિતીનો તાગ મેળવવા પાટણ જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓ સાંતલપુર, રાધનપુર અને સમી શંખેશ્વરના સરપંચ અને આગેવાનોની મુલાકાત લીધી હતી.
વધુમાં જણાવ્યું કે પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર, સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગામોમાં પીવાનું પાણી, પશુધન માટે ઘાસચારો ઉપલબ્ધ નહી બનતા અંતળીયાર ગામોની પ્રજા હિજરત કરવા મજબૂર બની છે. પશુધન માટે ઘાસડેપો ખોલવાની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ પુરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો સરકારી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતો નથી. તેવી સમસ્યાઓને લઈ લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ચારેય તાલુકાના એકપણ ઘાસડેપોમાં ઘાસ નથી, ઘાસચારાના હિસાબે પશુઓ સાથે પશુપાલકોએ હિઝરત ચાલુ કરી છે. આવતા દિવસોમાં ઘાસચારાની પુરતી વ્યવસ્થા નહી થાય તો મોટાપાયે હિઝરત થવાની સંભાવનાઓ રહેલી છે.