દુર્ઘટના@પ્રાંતિજ: ખેતરે જતાં ભમરીનો હુમલો, પિતાનું મોત-બાળકો ઘાયલ
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
પ્રાંતિજ તાલુકાના ગામે રવિવારે ખેતર જતાં ખેડૂત પરિવાર ઉપર ભમરીનો હુમલો થયો હતો. એકસાથે અનેક ભમરીઓ પિતા અને પુત્રો ઉપર તૂટી પડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પછી સારવાર કરાવતાં જ પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે પુત્ર ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે ગરીબ ખેડૂત પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનગઢ ગામે ખેતરમાં જતાં પિતા અને પુત્રોને કાળનો ભેટો થયો હતો. ખેતર સુધી પહોંચે તે પહેલા રસ્તામાં અચાનક વૃક્ષ પાસે પક્ષીએ ઝુંડને છંછેડતા ભમરીઓ ઉડવા લાગી હતી. આ દરમ્યાન ગણતરીની સેકન્ડમાં ભમરીઓ પિતા-પુત્રને કરડી હતી. આ દરમ્યાન પુત્રોએ દોડાદોડ કરી માંડ બચાવ કર્યો હતો. ઘટનાની ગામમાં જાણ થતાં તાત્કાલિક પિતા અને પુત્રોને હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભમરી કરડવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે ઘાયલ પુત્રોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પતિનું મોત અને કિશોર વયના બંને પુત્રોની હાલત જોઈ મહિલા ઉપર આભ ફાટી પડ્યું હતું. દુર્ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ભમરી કરડવાથી મોતનું કારણ જાણો
ભમરી કરડવાથી મોત ખૂબ ઓછાં સંજોગોમાં બને છે. પિતાને ભમરીઓ કરડવાથી અચાનક રિએક્શન આવ્યું હોઈ શકે છે. આ સાથે ભમરીનુ સામાન્ય ઝેર શરીરમાં આડ અસર ઉભી કરી હોય તો પણ તાત્કાલિક સારવાર મળે તે પહેલાં મોત થયું હોવાનું માનવામાં આવે છે.