વરસાદ@ગુજરાત: રાજ્યમાં "ભાદરવો ભરપૂર" , આજે આ જિલ્લાઓમાં આગાહી,અનેક ડેમ ઓવરફ્લો

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આજે તડામાર વરસાદ વરસી શકે છે. આજે રાજ્યમાં સુરત, વલસાડ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડામાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા ધડબડાટી બોલાવશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આજે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માત્ર એક જ દિવસમાં 152 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો. તો અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો રાજ્યમાં વાંસદામાં 4.5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, ભુજ અને પલસાણામાં પણ સવા 4 ઈંચ વરસાદ, ડોલવણ અને કપરાડામાં 4 ઈંચ વરસાદ, નાંદોદ અને વેરાવળમાં પોણા ચાર ઈંચ વરસાદ, ચીખલી, ધરમપુર, મહુવા અને પારડીમાં 3.5 ઈંચ વરસાદ, નવસારીમાં સવા ત્રણ ઈંચ વરસાદ, વાપી, કોડીનાર અને વાલોદમાં 3 ઈંચ વરસાદ તો વઘઈ અને ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
અનેક ડેમ થયા ઓવરફ્લો
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ અને જળાશયો ઓવરફ્લો જોવા મળી રહ્યાં છે. જેમાં વાત કરીએ તો ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ હાલ વધારો થયો છે. ઉકાઈ ડેમની હાલની જળસપાટી 341.22 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટે છે. ઉકાઈ ડેમમાં 1 લાખ 40 હજાર 971 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 75 હજાર 894 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમના હાલ 14 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા છે.
નર્મદા નદીના જળસ્તરમાં વધારો
આ તરફ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. હાલ નદીના જળ સ્તર 18.4 ફૂટે પહોંચ્યા છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ હાલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે CM ભૂપેન્દ્ર પટેલે માં નર્મદાના જળનું પૂજન કરી નર્મદા નીરના વધામણા કર્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે. તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજી વાર પૂર્ણ સપાટીએ છલકાયો છે.