ગીરઃ બદલાયેલા વાતાવરણને કારણે કેસર કેરી મોંઘી બનશે
અટલ સમાચાર, ડેસ્ક
ગીરની ખુશબુદાર કેસર કેરીનો સ્વાદ શોખીનો માટે તૈયાર થવા લાગ્યો છે પરંતુ મોસમે છેલ્લા બે દિવસમાં બદયેલા મિજાજના કારણે કેરીના પાકને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદ-રસિયાઓને પણ કેરી આ વર્ષે મોંઘી પડશે.
બે દિવસના વાતાવરણના પલટાના કારણે આંબા પરથી કેરીના ગોરવા મોટી સંખ્યામાં ખરી પડ્યા છે. ગીરના ખેડૂત અગ્રણી નટુભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ જોતા ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ માંઘો પડશે. કેરીનો પાક માંડ 30 ટકા જેટલો વધ્યો હોવાથી કેરાનું બજાર મોંઘુ રહેશે. તલાલા પંથકના ખેડૂતોએ વાતાવરણના કારણે વધુ નુકસાન ન જાય તે માટે આગોતરો પાક ઉતરવાનું શરૂ કરી દીધું છે. તલાલા માર્કેટિંગ યાર્ડને ખૂલવાને હજૂ વાર હોવા છતાં ખેડૂતો આંબા પરથી કેસર કેરી ઉતારીને દસ કિલોના બોક્સ ભરવા લાગ્યા છે. અમદાવાદના બજારોમાં ખેડૂતો દ્વારા સીધી કેરીની આવકનું વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે ગીર કેસરના ભાવ બમણા છે. ક્વોલિટી મુજબ એક બોક્સ રૂ.800 થી 1500ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. હાલમાં પાકેલી કેસર રૂ.170 થી 200ના ભાવથી વેચાણ થઈ રહી છે. ચાલુ વર્ષે કેરીનો પાક પ્રતિકૂળ વાતાવરણથી નુકસાનના કારણે ઊંચો રહેશે.
બીજી તરફ અન્ય કેરી હાફૂસ અને લંગડો કેરી હજુ સ્વાદ શોખીનોને રાહ જોવડાવશે. અત્યારે અમદાવાદના બજારમાં 20 ટનથી વધુ દેશી કેરીની આવક થઈ રહી છે. કેસર કેરીની મામૂલી આવક સાથે બદામ કેરીની આવક પણ હાલમા મધ્યમ છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે દેશી કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. એક સપ્તાહ પછી કેરીની આવક વધશે. જૂનાગઢથી 65 કિલોમીટરનાં અંતરે તલાલા ગીર કેસર કેરીની રાજધાની છે.
તલાલા તાલુકાના 49 ગામોની 29800 હેકટર ખેતી લાયક જમીન પૈકી અંદાજીત 16900 હેકટર જમીનમાં આંબાવાડીઓ ઊભી છે. વાતાવરણની ખાસ અસરના કારણે કેરીના પાકનું ઓછું ઉત્પાદન થયું છે. ઠંડીના કારણે આંબાના કૂમળા ફૂલ બળી જતાં પાક ઓછો થયો હોવાનું બહાર આવ્યું હતું. તેમાં ફરી માવઠું થતાં કેરીના ભાવ પણ ડબલ ચૂકવવા પડે તેવી નોબત આવી છે.