ગંભીર@બનાસકાંઠા: પુલ સામે માર્ગ મકાનની સુચના, બે વર્ષથી જોખમી મુસાફરી
અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)
બનાસકાંઠાના શિહોરી નજીક માર્ગ મકાન વિભાગનો પુલ છેલ્લા કેટલાક સમયથી જોખમી છે. જેથી ભારે વાહનો પસાર નહિ કરવા છેલ્લા બે વર્ષથી માર્ગ મકાન વિભાગે સુચના આપતુ બોર્ડ લગાવ્યુ છે. પાટણથી કાંકરેજ તરફ જતા ત્રણથી ચાર તાલુકાને પુલ જોડતો હોવાથી ભારે વાહનોનું પરીવહન યથાવત છે. વિભાગ દ્વારા રાજય સરકારને રીપેરિંગ અથવા નવિન બનાવી આપવાની દરખાસ્ત કાચબા ગતિએ મુકાતા વાહનચાલકો નારાજ છે.
બનાસકાંઠા અને પાટણને જોડતો પુલ કાંકરેજ તાલુકાના ઉબરી અને કંબોઈ વચ્ચે બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે. જેમાં 2017માં પુર આવ્યા બાદ પુલનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. આથી બનાસકાંઠા માર્ગ મકાન વિભાગે 20 ટનથી વધારે ક્ષમતાવાળા વાહનો પસાર નહિ કરવા ગંભીર સુચના આપતુ બોર્ડ લગાવ્યુ છે. બોર્ડ લગાવ્યા બાદ કેટલોક સમય પંથકના વાહનચાલકોએ સમારકામ થવાની રાહ જોઇ હતી. જોકે, રીપેર નહિ થતાં સુચના સામે અવગણના થઇ રહી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બે વર્ષથી જોખમી પરિવહન યથાવત હોવાથી બનાસકાંઠા માર્ગ મકાન વિભાગ પોતાના જ આદેશનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. જેનાથી કમનસીબે જો કોઇ દુર્ઘટના બને તો જવાબદારી અંગે ગંભીર સવાલો બને છે. પુલની ક્ષમતા અને ટેકનીકલ બાબતોને લઇ ઝડપથી સમારકામ જરૂરી હોવાનું પંથકના રહીશોમાં ચર્ચાઇ રહ્યું છે.
સમગ્ર મામલે દીયોદર માર્ગ મકાન વિભાગના ઇજનેર એમ.જે.ઠાકોરે જણાવ્યુ હતુ કે, પુલની મરામત અથવા નવિન પુલ તૈયાર કરવાની દરખાસ્ત થઇ છે. એકાદ મહિના અગાઉ રાજય સરકારને વિનંતી કરી હોઇ આગામી દિવસોએ વહીવટી મંજુરી મળવાની સંભાવના છે. ઉલ્લેખનિય છે કે, જોખમી મુસાફરી વચ્ચે બનાસકાંઠા માર્ગ મકાન વામળું પુરવાર થઇ રહ્યું છે કે કેમ તે સવાલો ગંભીર છે.