અતિગંભીર@સોનગઢ: સરકારી જમીન ઉપર ખાનગી શાળાની હોસ્ટેલ? આ બૂમરાણ કેમ મચી ?

સિસ્ટમમાં રહીને બાહુબલી પોતાનો અને ખાનગી શાળાનો વિકાસ કરતો, ટિકીટનો દાવેદાર હતો?
 
File photo

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સોનગઢનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ કરવા રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો છે. જોકે આ તમામની વચ્ચે આદર્શ નિવાસી શાળાઓ સામે વધુને વધુ વિદ્યાર્થીઓ પોતાની ખાનગી શાળામાં ખેંચવા પણ પ્રયાસો થતાં રહે છે. આ પ્રયાસોની દોડધામ આખરે સરકારી જમીનના ઉપયોગ સુધી પહોંચી હોવાની બૂમરાણો કેમ ઉઠતી હોય? સોનગઢ ખાતે ખાનગી શાળાની હોસ્ટેલનો કેટલોક ભાગ સરકારી જમીન ઉપર તાણી બાંધ્યો હોવાની ચકચાર ઘણાં સમયથી ફેલાઇ છે. આથી તાત્કાલિક અસરથી સોનગઢ નગર અને આસપાસના વિસ્તારોમાં દબાણનો સર્વે થવો સરકારના હિતમાં જરૂરી બનતો જાય છે. ખાનગી શાળાના બાહુબલીએ વર્ચસ્વ ઉભું કર્યું હોઈ એક ફુટ શું વળી સો ફુટ દબાણ હોય તો પણ તાત્કાલિક દૂર થાય ? એ સૌથી મોટો સવાલ છે. જાણીએ બાહુબલીની વેપારી નિતીનો આ સ્પેશ્યલ રિપોર્ટ.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદર્શ નિવાસી શાળાઓના વિકાસ માટે પ્રાયોજના કચેરીથી માંડી કમિશ્નર સુધીની કચેરીઓના મજબૂત પ્રયાસો છે. અહિંની શાળામાં એડમિશન લેવા વિદ્યાર્થીઓનો ઘસારો રહેતો હોઈ ખાનગી શાળાઓનો વિકાસ પણ વધ્યો છે. જોકે સમય અને તક પારખી ખાનગી શાળાના એક પછી એક સંકુલ ઉભા કરી બાહુબલીએ વિદ્યાર્થીઓ ખેંચવા/જાળવી રાખવા/વધારવા હોસ્ટેલ શરૂ કરી પછી દબાણનો મામલો ગરમાયો છે. ખાનગી શાળાના હોસ્ટેલનો કેટલોક હિસ્સો બાજુમાં જ આવેલી સરકારી જમીન ઉપર હોવાની બુમરાણ વધતી જાય છે. ખાનગી શાળાના કાગળ ઉપર વગરના સર્વેસર્વા બાહુબલીની હોસ્ટેલ કેમ અને કેવીરીતે સરકારી જમીન ઉપર ઉભી થઇ ગઈ કે કેમ? તે સૌથી મોટો સવાલ છે. આટલું જ નહીં, હોસ્ટેલના બાંધકામ પરમિશનથી માંડી નિયત તમામ પ્રક્રિયા છતાં દબાણ ના જોવા મળ્યું? વાત એમ પણ ચર્ચાય છે કે, બાહુબલીના સ્થાનિક સંબંધોથી માંડી ગાંધીનગર અવરજવર દરમ્યાન થતાં ફોટો સેશનનો સિંહ ફાળો છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાનગી શાળા હોય કે ગમે તે પરંતુ સોનગઢ નગર અને આસપાસ સરકારી જમીન ઉપર દબાણની ખરાઇ તાત્કાલિક અસરથી જરૂરી છે. તાકાત અથવા સત્તા અથવા કોઈ હોદ્દો ધરાવતી વ્યક્તિના દબાણ કોઈપણ સંજોગોમાં હોવા જોઈએ નહિ તેમ ખુદ મૃદુ મુખ્યમંત્રી કહે છે. ખાનગી શાળાની સંખ્યા વધે તેમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ ક્દાચ કોઈ હોદ્દો હોય અને હોદ્દાના રૂઆબમાં સરકારી હિત અને વિદ્યાર્થીઓના હિતને અવગણના થતી હોય તો એ અતિ ગંભીર કહેવાય. વાત આટલી નથી, બાહુબલીએ ખાનગી શાળાના વિકાસ માટે કેટકેટલા સેટિંગ્સ કર્યાં તેની બૂમરાણો પણ કંઈ ઓછી નથી. ટૂંક સમયમાં તમામ અહેવાલો સરકારના હિતમાં થશે.

દાહોદમાં કોઈની તાકાત ચાલી ?

સિસ્ટમમાં રહી ખાનગી શાળાના બાહુબલી જો એવું સમજતાં હોય કે, સંબંધો છે અને ભૂતકાળમાં ટિકિટના દાવેદાર પણ હતા તો એવી શેખી ભ્રષ્ટાચાર નાબૂદી સામે નહિ ટકે. કેમ કે, દાહોદમાં ભલભલા બાહુબલીની તાકાત બાહોશ અને મક્કમ મુખ્યમંત્રીની ભ્રષ્ટાચાર દૂર કરવાની તાકાત સામે ટકી નથી. આથી બાહુબલીની વેપારી તાકાત, શૈક્ષણિક તાકાત, રાજકીય સંબંધોની તાકાત હોય તો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખોટું ચલાવી લેશે નહિ.