રીપોર્ટ@સોનગઢ: આદીજાતીની જમીનમાં દબાણ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે? મુખ્યમંત્રીની સુચના પાળજો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સોનગઢ ખાતે આદીજાતી વિકાસ વિભાગને શરતોને આધીન તાપી કલેક્ટર કચેરીએ આપેલી જમીનમાં ગેરકાયદેસર દબાણ છે. આ દબાણ વર્ષોથી કોઈની રહેમનજર હેઠળ છે અને લેવાદેવા વગર શરતભંગ થાય છે તેની જાણ છતાં દબાણ દૂર થયું નથી. હવે આ મામલે મદદનીશ કમિશ્નર કચેરીના પત્ર આધારે અટલ સમાચાર ડોટ દ્વારા આદીજાતી કમિશ્નર કચેરી અને સોનગઢ મામલતદારને ધ્યાને મૂકતાં થોડો સળવળાટ થયો છે. જોકે હજુસુધી દબાણ દૂર નહિ થતાં અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે ત્યારે મૃદુ મુખ્યમંત્રીની ગેરકાયદેસર દબાણ હટાવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની સુચનાનું પાલન થશે ? શું કોઈ બાહુબલી કે સિસ્ટમના વ્યક્તિના જ્ઞાનતીર્થ નામની ખાનગી એકેડમી ઉપર ચાર હાથ છે ? મામલો ધ્યાને મૂક્યા બાદ કોણે શું કર્યું અને કેટલી ઝડપથી કાર્યવાહીની જરૂર તેનો સ્પેશ્યલ રીપોર્ટ.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદીજાતી વિકાસ વિભાગને મળેલી જમીન ઉપર છાત્રાલયનું કામ પ્રગતિ હેઠળ છે. અહિંની જમીન અગાઉ કલેક્ટર હસ્તક ત્યારે શરતોને આધીન કેટલોક હિસ્સો શરતોને આધીન મદદનીશ આદીજાતી વિકાસ વિભાગની કચેરી હેઠળ ફાળવ્યો હતો. આ દરમ્યાન જ્ઞાનતીર્થ એકેડમી નામની ખાનગી શાળાનું મહાકાય બાંધકામ પણ થયેલ હોઈ કથિત ગેરકાયદેસર દબાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આથી વર્ષ 2023-24 દરમ્યાન તાપી મદદનીશ કમિશ્નર કચેરીએ માપણી આધારે દબાણ શોધી ધોરણસરની પ્રક્રિયા માટે સોનગઢ મામલતદારને પત્ર લખ્યો હતો. આ પત્રથી 2025 સુધી કોઈ દબાણ દૂર થયું નહિ એટલે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા સમગ્ર મામલે સરકારના હિતમાં ધ્યાને લાવતાં સોનગઢ મામલતદારે તાત્કાલિક અસરથી નોટીસ ફટકારી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સદર જમીન છેવટે તો આદીજાતી વિકાસ વિભાગને મળી હોઈ ગાંધીનગર સ્થિત કમિશ્નર કચેરીને પણ ધ્યાને આવ્યું હતુ. આથી આદીજાતી કમિશ્નર કચેરીએ તાપી મદદનીશ કમિશ્નર કચેરીને સુચના આપી ત્યારે જિલ્લા જમીન દફતર કચેરીને માપણી માટે અરજી થઈ છે. આ માપણી થયા બાદ મદદનીશ કમિશ્નર કચેરીની જમીન કેટલા હદ સુધી તેનો રીપોર્ટ તૈયાર થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું સોનગઢ મામલતદારે જણાવ્યું હતુ. જોકે આટલા બધા વર્ષો સુધી માપણી નહિ થઈ અને તેની તકનો લાભ ઉઠાવી અત્યાર સુધી દબાણ રહ્યું તે કોની મહેરબાનીથી તે સૌથી મોટો સવાલ છે. આથી હવે ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગેરકાયદેસર દબાણ હટાવવાની સુચનાનો ઝડપી અને પારદર્શક અમલ થાય તે અતિ આવશ્યક છે. કેમ કે સ્થાનિકોમાં એવી વાતો ઉઠી રહી કે, ગેરકાયદેસર દબાણ વાળા બાહુબલી હોઈ વિલંબ થઈ શકે પરંતુ અહિં ફરી એક જ વાત આવે કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને આપેલી સુચનાનો કેટલો અને ક્યારે અમલ થાય તે ટૂંક સમયમાં ખબર પડી જશે.