બ્રેકિંગ@પાટણ: બે સંતાનોની માતાએ અગમ્ય કારણોસર સરોવરમાં કુદી જીવન ટૂંકાવ્યું, પરિજનો શોકમગ્ન
![Patan](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/7399a49b40935749cf4e27d8c19a263e.jpg)
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સિદ્ધિ સરોવરમાં આજે એટલે કે શુક્રવારના બપોરે એક યુવતીએ મોતની છલાંગ લગાવી દીધી હતી. જોકે હજી સુધી આત્મહત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવતી પાટણ શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ દેવનગરી સોસાયટીમાં રહેતી અને બે સંતાનની માતા દિક્ષિતાબેન મોદી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
પાટણ શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ દેવનગરી સોસાયટીમાં રહેતા મોદી પરિવારની બે સંતાનની માતા દિક્ષિતાબેન મોદીએ સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આજે બપોરના સમયે બનેલી ઘટનાને લઈ પાલિકાની ટીમે ભારે મહેનત બાદ મૃતક મહિલાના મૃતદેહને બહાર નીકાળ્યો હતો. નોંધનીય છે કે, બનાવની જાણ મૃતકના પરિવારજનોને અને પોલીસને સહિતના તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.