સુવિધા@ગુજરાત: નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ-GSRTC દ્વારા ધનતેરસના દિવસે વધુ નવી 46 બસનું લોકાર્પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ પર 20 સ્લીપર તેમજ 26 ડીલક્ષ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તમામ બસની સુવિધાની વાત કરવામાં આવે તો ઈમરજન્સી ડોર, ઈમરજન્સી વિન્ડો, એસ્કેપ હેચ જેવી ઇમરજન્સી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત બસમાં સલામતી અનુલક્ષીને ડ્રાઇવરની કેબિનમાં તથા પેસેન્જર સલૂનમાં 2 જગ્યાએ ફાયરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ બસો પાર્કિંગ સેન્સર, ઈમરજન્સી સમયમાં પોલીસની સહાય મેળવી શકાય તે માટે તમામ બસની અંદર વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તહેવારોના સમયમાં અંદર કે સરકારી પરીક્ષાના સમયની અંદર વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત રાજ્ય અને આંતર રાજ્ય જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુજરાત એસટી બસ સંચાલન કરવામાં આવી રહ્યું છે.