આગાહી@ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા, આ બે દિવસ આંધી વંટોળનુ પ્રમાણ વધશે: અંબાલાલ પટેલ

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આ વખતે શિયાળાની મોડી શરુઆત થઈ, શિયાળા બાદ જાણે ઉનાળો ગાયબ થઈ ગયો હોય તેમ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો. હવે આકરા ઉનાળા અને બફારાના કારણે પ્રજા ત્રસ્ત છે ત્યારે ચોમાસું કેવું રહેવાનું છે અને ચોમાસું ક્યારે કેરળ પહોંચશે તે અંગેની સંભાવનાઓ વિવિધ રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે રાજ્યના હવામાન અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો અને ગરમીથી આંશિક રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ હોવાથી ગરમી ઘટી છે પરંતુ બફારાના કારણે લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. અરબી સમુદ્ર તરફથી પવન ફૂકાય રહ્યા છે. જેના કારણે ભેજનુ પ્રમાણ વધ્યુ છે. ભેજના કારણે બફારો થઈ રહ્યો છે અને આગામી 4 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેવાનુ હવામાન વિભાગનુ અનુમાન છે.

રાજ્યના હવામાનમાં આવી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે પવન અને આંધીનુ પ્રમાણ પણ વધ્યુ છે. દિલ્હીમાં ઘૂળની ચાદર છવાય હતી. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા. આ તરફ ગુજરાતમાં પણ પવનનુ જોર જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવાની શક્યતા રહેલી છે. જેના લીધે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ઘટાડો લાંબા ગાળાનો નહી હોય ઉપરાંત 18 અને 19માં વાતાવરણમાં પલટો આવશે. આંધી વંટોળનુ પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલ જણાવે છે કે, મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર રાજસ્થાનના ભાગોમાં આંધી-વંટોળનુ પ્રમાણ વધશે. આ સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ પણ છે, તેમજ પ્રી મોનસુન એક્ટિવિટી વધશે. 22થી 24મી મેએ પણ પ્રિ-મોનસુન એક્ટીવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. મે માસના અંતમાં અરબી સમુદ્રમાં મધ્યમ પ્રકારનુ વાવાઝોડુ સક્રિય થવાની શક્યતા છે.