ધાર્મિક@બનાસકાંઠા: બોલ મારી અંબે....જય જય અંબે.. ના નાદ સાથે અંબાજીમાં સંઘોનું આગમન શરૂ

અટલ સમાચાર, ડેસ્ક
ભાદરવી પૂનમ મહામેળાની આજે શરૂઆત થઈ છે. ત્યારે મહામેળાની રોનક યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ જોવા મળી રહી છે. અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાળુઓ માટે અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં માઇ ભક્તો મહામેળામાં પગપાળા સંઘો લઈને પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયધોષ સાથે અંબાજીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ચારે બાજુ એક અનેરો ભક્તિમય માહોલ અંબાજીમાં સર્જાઇ રહ્યો છે.
આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની શરૂઆત કરાઈ હતી. ત્યારે અનેકો પગપાળા સંઘો યાત્રાધામ અંબાજી તરફ વધી રહ્યા છે. આજે અમદાવાદથી દૂધવાલી પોળનો સંઘ અંબાજી મંદિર પહોંચ્યો હતો. આ સંઘ 19 ધજાઓ સાથે લઈને મા અંબાના મંદિરે પહોંચી અનેરો ઉત્સાહ સાથે મા ની જય ઘોષ લગાવી રહ્યા છે. દૂધવાલી પોળનો આ સંઘ 30 વર્ષથી સતત મા જગત જનનીના ધામે અંબાજી પહોંચે છે. ત્યારે આજે મેળાના પ્રથમ દિવસે આ સંઘ મા અંબાના ધામ અંબાજી પહોંચ્યો હતો. માતાજીના ચરણોમાં શીશ નમાવી મા નો આશીર્વાદ મેળવ્યા બાદ 19 ધજાઓ સાથે પહોંચેલો આ સંઘ મા અંબાના શિખરે ધજાઓ લહેરાવશે.
આસ્થાનો આ મહાકુંભ પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં માઇભક્તો મા ના ધામે પહોંચ્યા છે. અંબાજી મંદિરની રેલીંગો માઇભક્તોથી ઉભરાઈ રહી છે, ત્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પૂજારીઓ દ્વારા માતાજીનો હવન કરવામાં આવી રહ્યો છે. મેળો સુચારુ રૂપે સંચાલન થાય તેવી હવનમાં આહુતિ આપી માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરનો ચાચર ચોક માઇભક્તોના જય જય અંબે નાદથી ગુંજી રહ્યો છે.