ઘટના@વડોદરા: SRP જવાને પોતાની રાયફલથી જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ

અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા શહેરમાં લાલબાગ પાસે આવેલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં SRP ગ્રુપ નંબર 1માં ફરજ બજાવતા જવાને ડ્યુટી દરમિયાન પોતાને સર્વિસ રાઇફલ વડે ગોળી મારી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP જવાન છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા હતા. જવાને શા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં એસઆરપી જવાનનો મૃતદેહ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
છેલ્લાં 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા પ્રવિણભાઈ બારિયા મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના વતની છે. પ્રવિણભાઈએ નોકરીના સ્થળે આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. પ્રવિણભાઈએ એસઆરપી ગ્રૂપ1 ના સંત્રી પ્રવિણભાઈએ ગેટ ઉપર જ રાત્રિના સમયે ઈન્સાસ રાયફલથી ગોળી મારીને આત્મહત્યા કરી છે. તેમને ગળાના ભાગે ગોળી વાગતાં ઘટનાસ્થળે જ મોત થયું છે. પરિવારજનનું કહેવું છે કે પ્રવિણભાઈ છેલ્લાં 13-14 વર્ષથી બીમારીથી પીડાતા હતા. જેને પગલે આવું પગલું ભર્યું હોઈ શકે છે.
મૃતક પ્રવીણ બારિયા છેલ્લાં 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. પરંતુ આ પગલું બીમારીથી કંટાળીને ભર્યું હશે એવું પ્રાથમિક તારણ છે. પોતાની પાછળ પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યાં છે. પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પત્યા પછી મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના માદરે વતન ફતેપુર ગામે કરાશે.