કાર્યવાહી@સુરત: ફૂડ વિભાગ અને પોલીસની ટીમે કારખાનામાં દરોડા પાડી 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે.ગાંધીનગરની ફૂડ વિભાગ અને પોલીસની ટીમે ઓલપાડના માસ્મામાં રહેલા કારખાનામાં દરોડા પાડી 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઓલપાડ તાલુકાની માસમા જીઆઇડીસીમાં આવેલી 2 સગા ભાઇને ફેક્ટરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 69 લાખની કિંમતનું 25 ટન ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડી પાડ્યો છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, જહાંગીરપુરા વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતા ભુપેશ ઇશ્વર ભરતીયા અને રાકેશ ઇશ્વર ભરતીયા ઓલપાડ તાલુકાના માસમા ગામે આવલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આર. કે. એન્ટરપ્રાઇઝના નામે ફેકટરી ધરાવે છે. આ બંને ભાઇઓ 2016થી ડુપ્લિકેટ ધી બનાવી વર્ષે 30 કરોડનું ટર્ન ઓવર કરતા હતા. વીર મિલ્ક પ્રોડક્ટસમાંથી આશરે 5000 કિલોગ્રામ ગાયનું ઘી, 2400 કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનું ઘી તથા 140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો મળી કુલ 7.4 ટનનો જથ્થો કબજે લીધો હતો. જ્યારે ત્યાંથી 200 મીટર પર આવેલી શ્રી આર.કે. એન્ટરપ્રાઇઝમાંથી 17.5 ટન એડલ્ટ્રન્ટ મળી કુલ 25 ટનનો રૂ.69 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બંને ભાઇઓની અટક કરી રૂ.16,59,800ની મશીનરી રૂ.7,55,841ની કિંમતનું પેકીંગ મટીરીયલ અને મોબાઇલફોન મળી કુલ રૂ.1,17,97,641નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શુધ્ધ ઘીના નામે શુભ, લાભ, ઓરિયો, સાવરો બ્રાન્ડના નામે ઘી વેચાતું હતું.
ભરતીયા બંધુ દ્વારા ડુપ્લિકેટ ધી બનાવવી બજારમાં વેચવાનો ગોરખધંધો 2016થી ચાલતો હતો. તેમનો આ ધંધો પકડાય નહીં તે માટે ચોક્સ દિવસોમાં જ ફેક્ટરી ખોલીને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું.જેથી કોઇના ધ્યાન પર આવતું ન હતું. તેઓ મલેશિયાથી વેજફેટ મગાવતા હતા અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘીના એસેન્સ નો ઉપયોગ કરી તેનું મિશ્રણ કરતા હતા. ડિસ્ટ્રીક્ટ ફુડ ઓફિસર એચ. કે. સોલંકીએ જણાવ્યું હતું કે, બોગસ ઘી બનાવવા માટેની નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. જેમાં ફેટી એસિડ, મોનો અને ડાય ગ્લિસરાઇડમાં વેજીટેબલ ફેટ ઉમેરવામાં આવતા ફેટમાં ઘીના ધારા ધોરણ મુજબ આર. એમ. આવી જાય છે. જેમાં એસેન્સ ઉમેરવામાં આવે એટલે અસલી ઘી જેવું જ બની જાય છે, પરંતુ તે ડુપ્લિકેટ જ હોય છે. પકડાયેલા બંને ભાઈઓની પોલીસ હવે પૂછપરછ કરી રહી છે. તેઓ આ ઘી બનાવવાનું ક્યાંથી અને કોની પાસેથી શીખ્યા છે તે પણ એક મહત્વની બાબત છે કારણ કે, આ બંને જેમની પાસેથી આ ઘી બનાવવનું શીખ્યા છે તે ખૂબ જ સટીક છે. આ બંને ડુપ્લિકેટ ઘી એટલી સટીક રીતે બનાવતા હતા કે સામાન્ય તપાસમાં તે ઓરીજીનલ ઘી જેવું જ જણાઈ આવે છે. આ ઘી સામાન્ય રીતે રોજીંદા વપરાશમાં આવે તો ગળાની બીમારીઓ થઈ શકે છે એવું પણ જાણકારોનું કહેવું છે. ડુપ્લિકેટ ઘી 370 રૂપિયે કિલો ઘી વેચતા હતા. જે ઓરીજીનલ ઘી કરતા 300થી 350 રૂપિયા સસ્તુ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને આ ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીની બાતમી જે વ્યક્તિએ આપી તેણે સુરતમાં સંબંધિત લગભગ તમામ વિભાગોને આ ગોરધધંધાની માહિતી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરતું ન હતું. ત્યારબાદ ફરિયાદીએ સ્ટેટ મોનિટરિંગ સેલને પણ જણાવ્યું પણ ઘીની વાત હોઈ સ્ટેટ મોનિટરિંગ સેલે પણ વિચાર્યું કે આ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. પરંતુ જ્યારે ફરિયાદીએ ફેક્ટરીમાં જઈને વીડિયો બનાવી સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીને મોકલ્યો ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ડુપ્લિકેટ ઘીના આ ગોરખધંધાને ઉઘાડો પાડી દીધો હતો. આરકે એન્ટરપ્રાઈઝ અને વીઆર મીલ્ક પ્રોડક્ટ્સના નામે ફેક્ટરી ચાલતી, 370 રૂપિયા કિલો વેચતા