બનાવ@આણંદ: ઘર નજીકથી પસાર થતી નહેરમાં ન્હાવા પડેલા કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત
![બનાવ@આણંદ: ઘર નજીકથી પસાર થતી નહેરમાં ન્હાવા પડેલા કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/9b458e50cc0a96f624958bd209519c44.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતના કેટલાય બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટના સામે આવતી હોય છે. પેટલાદ તાલુકાના ખડાણામાં ઘર નજીકથી પસાર થતી નહેરમાં ન્હાવા પડેલા કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતાં પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કિશોર મોડે સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના ખડાણા ગામ સ્થિત સરદારપુરા પ્રાથમિક શાળા પાસે મોટી નહેર નજીક પ્રભાતભાઈ નાગજીભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. પ્રભાતભાઈ પરમારનો નવ વર્ષીય દીકરો પ્રકાશભાઈ પોતાના ઘર નજીકથી પસાર થતી મોટી નહેરમાં નાહવા ગયો હતો. જે મોડી સાંજે ખાવાના સમય સુધી ઘરે પરત આવ્યો ન હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.
જેમાં કિશોર નહેરમાં પાણીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી રણજીતભાઈ કરશનભાઈ વાઘેલાની ફરિયાદના આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.