દુર્ઘટના@છોટાઉદેપુર: લગ્નમાં જતાં 3 આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છોટાઉદેપુર જિલ્લામાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક તાંદલજા ગામ પાસે ગત રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક પર સવાર 3 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઇક 600 મીટર દૂર સુધી ફંગોળાઈ ગઇ હતી. ટક્કર મારનાર અજાણ્યો વાહનચાલક ત્રણેય લોકોને કચડીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મૃતકો વાસણા ગામના રહેવાસી હતા, જેમાં કનુભાઈ રોહિત, બાબરભાઈ પરમાર અને ધુરાભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો બાઇક પર સવાર થઈને બોડેલી ખાતે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ તાંદલજા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા અને પૂરપાટ ઝડપે આવતાં વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કરની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અકસ્માત બાદ બાઇક લગભગ 600 મીટર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી. ટક્કરના કારણે ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે ત્રણેયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમૉર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલમાં, બોડેલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ટક્કર મારનાર વાહન તથા ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકોનાં નામ
- કનુભાઈ રોહિત
- બાબરભાઈ પરમાર
- ધુરાભાઈ પરમાર

