દુ:ખદ@ભાવનગર: ગુંગણામણ થવાના કારણે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીનું મોત થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના તહેવાર સમયે ભાવનગરમાં ઉજવણીને બદલે એક કર્મચારીના પરિવારમાં માતમ છવાયો છે. દિવાળીના તહેવાર સમયે જ ભાવનગરમાં એક દુર્ઘટના ઘટી છે. જેમાં ગુંગણામણ થવાના કારણે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીનું મોત થયું છે. વાઘાવાડી રોડ પર સરકારી સેન્ટ્રલ સોલ્ટમાં વિવિધ પ્રકારનો પરીક્ષણ થતું હોય છે. જેમાં પાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારી રાજેશ વેગડનું મોત થયું છે.
જ્યારે સુરેશ ગોરડીયા નામના વ્યક્તિની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. સેન્ટ્રલ સોલ્ટમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા સુરેશ ગોરડીયા ડ્રેનેજ સાફ કરવા માટે કામ કરી રહ્યાં હતા. દરમિયાન ઝેરી ગેસના કારણે બેભાન થયાની જાણ રાજેશ વેગડને થતાં અંદર ઉતર્યા હતા. ઝેરી ગેસના કારણે ગુંગળામણથી રાજેશનું મોત થયું હતું. બીજી તરફ પાલિકા બચાવની મુદ્રામાં છે.
ભારતમાં ગટર સાફ કરતા ગુંગળામણમાં 347ના મોત
આપને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતા ભારતમાં 347 લોકોના મોત થયા છે. જેને જોતા સવાલ એ થાય કે આઝાદીના 75 વર્ષ બાદ પણ જો માણસને અંદર ઉતારીને જ ગટર સાફ કરવી પડતી હોય તો કેવો વિકાસ થઈ રહ્યો છે. મોટા મોટા વિકાસના દાવા કરતા મંત્રીઓ આના પર શું કહેશે? શ્રમિકોના પ્રકારે મોત એ તંત્રની નિષ્ફળતા તો દર્શાવે જ છે, સાથોસાથ એ સત્તાધિશોની પણ નિષ્ફળતા દર્શાવે છે.