વેપાર@રાજકોટ: શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

ખેડૂતોએ કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો
 
લીલા શાકભાજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.પહેલા માવઠાનો માર અને હવે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ તળિયે બેસી ગયા છે.જેને કારણે ખેડૂતોને જીવન નિર્વાહ પૂરતા રૂપિયા પણ મળી રહ્યાં નથી.ખેડૂતોએ કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

ખેડૂતો માર્કેટમાં શાકભાજી વેચવા આવે ત્યારે ભાવ ન મળતા ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવી સ્થિતિ થઈ છે.હાલ ધોરાજી માર્કેટમાં વિવિધ શાકભાજીની પુષ્કર પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે.જેને કારણે મફતના ભાવે શાકભાજી વેચાઈ રહી છે.શિયાળાની સિઝનમાં શાકભાજીનું વધુ ઉત્પાદન થવાને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જેથી ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આગામી સમયમાં શાકભાજીના હજી પણ ભાવ ઘટે તેવી શક્યતા છે.

શાકભાજીના ભાવની વાત કરીએ તો રીંગણા, ગુવાર, તુરીયા, કોથમરી, મેથી, ટમેટા, કોબીજ, મરચા, લીંબુ, વટાણા સહિતના શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. રીંગણા અને ટામેટા પહેલા 50થી 60 રૂપિયે કિલો વેચાતા હતા.જે અત્યારે 15થી 20 રૂપિયાના ભાવે મળી રહ્યાં છે. તો વટાણા પહેલા 50થી 60માં વેચાતા હતા તે હવે ઘટીને 20થી 30 રૂપિયા થઈ ગયા છે.જ્યારે કોબીજના 8 રૂપિયે કિલો મળી રહી છે.પ્રતિ કિલો લીંબુના ભાવ 80 રૂપિયાથી ઘટીને 25થી 30 થઈ ગયા છે.